રાજકોટઃ રાજકોટમાં વર્ષોથી યોજાતા ભાતીગળ ગોરસ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતા મેળાને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે વર્ષો પહેલા આપણા વડવાઓએ દરેક સમાજના લોકોને એક સ્થળે ભેગા કરવા અને સમાજમાં સમરસતા જાળવવા આ મેળાનું આયોજન કર્યુ હતુ. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના સૂચનો લઈને આ મેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યુ છે. સાથે જ ભૂપેન્દ્રસિંહે સૌરાષ્ટ્રવાસીઓને આ મેળાનો લાભ લેવા માટે આહવાન કર્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં શરૂ થયેલા આ મેળામાં અનેક રાઈડ્સનો લોકો આનંદ માણી શકશે. પ્લોટમાં વિવિધ રાઈડ્સનું આયોજન કરાયુ છે જેમાં ટોરાટોરા, ફજત ફાળકા, મોતનો કૂવો વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ રમકડાંના 178 સ્ટોલ, ખાણીપીણીનાં 14 સ્ટોલ, મધ્યમ ચકરડીનાં 4 પ્લોટ અને નાની ચકરડીનાં 18 પ્લોટ ફાળવાયા છે. 


5 દિવસ ચાલનારા લોકમેળામાં અંદાજે 15 લાખથી પણ વધુ લોકો આવવાનો અંદાજ છે. ત્યારે મેળામાં પ્રવેશ માટે 4 તરફથી પ્રવેશદ્વાર બનાવાયા છે. તો 10 સ્થળે પાર્કિંગ સુવિધા ઉભી કરાઈ છે. લોકોની સુરક્ષા માટે 300 CCTV, 3000 પોલીસ-ખાનગી સિક્યુરિટીનો સ્ટાફ, 150 સરકારી અધિકારી-કર્મી ફરજ પર છે. સાથે જ ઠેર ઠેર કંટ્રોલરૂમ પણ ઉભા કરાયા છે.