ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, પરપ્રાંતીય લોકો પર થઈ રહેલા હુમલા અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લીધાં છે. પોલીસ તંત્રને પણ તેમને બચાવવા માટે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગયા અઠવાડિયે રાજ્યની કેબિનેટમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં સુરતના બે અને હિંમતનગરના કેસમાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવો પત્ર મુખ્ય ન્યાયાધિશને લખવામાં આવ્યો છે. 


નીતિન પટેલે આડકતરો આક્ષેપ લગાવતા જણાવ્યું કે, ગુજરાતમાં જે આંદોલન ચલાવાઈ રહ્યું છે તે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા નેતા ચલાવી રહ્યા છે. કોઈ એક વ્યક્તિ ગુનો કરે તો તેના માટે સમગ્ર જ્ઞાતિને ગુનેગાર જવાબદાર ન ઠેરવી શકાય. ગુજરાત સરકાર આવી કોઈ પણ પ્રકારની જોહુકમી ચલાવી નહીં લે. 


કોઈ એક વ્યક્તિના ગુનાના કારણે અન્ય પરપ્રાંતીય લોકો પર હુમલો કરવો કે તેઓ જ્યાં નોકરી કરતા હોય તે ફેક્ટરીને નુકસાન પહોંચાડવું એ ઉચિત બાબત નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગઈકાલે રાજ્યના પોલીસ વડાને સ્પષ્ટ સુચના આપી છે કે, ફેકટરી માલિક હોય કે કામદાર હોય પણ તેમને ખોટી રીતે જે કોઈ હેરાન કરશે તેમની સામે કડક પગલાં લવાના રહશે.