ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ (cabinet reshuffle) ના શપથવિધિના અટકળો વચ્ચે જાણવા મળ્યું કે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ (gujarat cabinet) માં નવા ચહેરા સામેલ કરાશે. જૂના મંત્રીઓને રિપીટ નહિ કરાય. એક પણ જૂના મંત્રીને રિપીટ નહિ કરાય. આ કારણે આજે સવારથી જ જૂના મંત્રીઓને કેબીન ખાલી થવા લાગી છે. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની કેબીનમાથી પણ સામાન બહાર લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (bhupendrasinh chudasama) ઉપરાંત મંત્રી ઈશ્વર પરમારની ઓફિસ પણ ખાલી કરાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ સરકારથી નારાજ હોવાના અહેવાલ છે, જેમને મનાવવા પક્ષના નેતાઓ પહોંચ્યા હતા. જોકે, સુરતમાંથી હર્ષ સંઘવી અને વી ડી ઝાલાવાડીયાનો‌ મંત્રીમંડળમાં સમાવેશ નક્કી હોવાનું સૂત્રોનું કહેવુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારમાં નવા મંત્રીઓના હાથમાં કમાન હશે. એટલે કે મોટાભાગના ચહેરા નવા લાવવામાં આવશે. તો બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચી જવા ફરમાન કરાયુ હતું. ત્યારે આ વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં ઉપસ્થિત જોવા મળ્યા. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વચ્ચે મંત્રીમંડળના શપથવિધિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. સૂચના મળ્યા બાદ જ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવનાર ધારાસભ્યોને ફોન કરવામા આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એક વાર પણ મંત્રી બન્યા હોય તેવા નેતાઓને પણ સ્થાન આપવામાં નહિ આવે.



આ ઉપરાંત સી.કે. રાઉલજી, કિરીટસિંહ રાણા, દુષ્યંત પટેલ, રાકેશ શાહ, આત્મારામ પરમાર, જગદિશ પંચાલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને નિમિશા સુથારના મંત્રી બનવાની શક્યતાઓ પણ પ્રબળ છે. આ તમામ ધારાસભ્યોને આજે કોલ આવી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને સ્થાન મળી શકે તેવી શક્યતા છે. તો જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 


આ વચ્ચે ગાંધીનગરમાંથી જે મંત્રીઓ રિપીટ થવાના નથી તેમની ઓફિસો ખાલી થવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં કુમાર કાનાણી, વાસણ આહીર, વિભાવરી દવે, શૈલેષ મહેતા જેવા મંત્રીઓના પત્તા કપાઈ રહ્યાં છે. આ મંત્રીઓની ઓફિસ ખાલી થવા માંડી છે. 


ગાંધીનગરમાં શપથવિધિનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શપથવિધિ માટે ત્રણ સ્થળની પસંદગી કરાઈ હતી. રાજભવન, સચિવાલય અને મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાય તેવી શક્યતા હતા. ત્યારે આખરે રાજભવનમાં જ શપથ સમારોહ યોજાય તેવું લગભગ ફાઈનલ છે. રાજભવનમાં કાર્યક્રમ માટે બેસવા માટેની ખુરશીઓ અને અન્ય સામગ્રી લઈ જવામા આવી રહી છે. હાલ રાજભવન બહાર ચહલપહલ વધી ગઈ છે.