ઝી ન્યૂઝ/બ્યૂરો: ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસમાં ગઈકાલ (શનિવાર)ની સરખામણીમાં આજે ફરી વધારો નોંધાયો છે. આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ તહેવારો છતા પણ આજે 18,195 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ગુજરાતમાં કુલ 229 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 225 નાગરિકો સ્ટેબલ છે. 8,16,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10090 નાગરિકોનાં મોત થયા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


આજના કોરોના આંકડાઓની વાત કરીએ તો સૌથી વધુ વડોદરા કોર્પોરેશનમાં નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં આજે 6 કેસ નોંધાયા છે, ત્યારબાદ અનુક્રમે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, જૂનાગઢ, સુરત કોર્પોરેશનમાં 2-2 અને ભાવનગર, નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે.


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 466 નાગરિકોને રસીનો પ્રથમ, 3814 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2135 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 11753 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 18,195 રસીના ડોઝ અપાયા હતા. 7,15,85,181 કુલ નાગરિકોનું રસીકરણ થયું હતું.