ચિરાગ જોશી, વડોદરાઃ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે કહ્યુંકે, ઈવીએમ મશીનમાં મારો ક્રમાંક સાત નંબર નો છે અને ઉપરના બીજા છ નંબરના તો છક્કાઓ છે. તેથી તમે મારા સાત નંબરના ક્રમાંક વાળું જ બટન દબાવજો. અને બીજા મતદારોને પણ કહી દેજો કે સાત નંબરનું બટન જ દબાવે. મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પ્રચાર દરમિયાન સભાને સંબોધતા મતદારો સમક્ષ આ નિવેદન આપ્યું હતું. મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા મતવિસ્તારમાં આવતા જરોદ ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સભાને સંબોધતી વખતે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટેના પ્રચાર-પ્રસારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર-પ્રસારને બ્રેક લાગી જશે. ત્યારે દરેક ઉમેદવારો છેલ્લી ઘડી સુધી લડી લેવા માંગે છે. એમાં કેટલાંક ઉમેદવારો જોશમાં આવીને હોશ ખોઈ બેસતા હોય છે. અને એ જ કારણ છેકે, આવા ઉમેદવારો કે નેતાઓ તમામ પ્રકારની મર્યાદાઓ નેવે મુકીને  ચૂંટણી સભામાં તાળીઓ પડાવવા માટે બેફામ વાણી વિલાસ કરતા હોય છે.


વાઘોડિયાના દંબગ નેતા મધુ શ્રીવાસ્તવ પણ આ પ્રકારની પ્રવૃત્તિ અને પ્રકૃતિ માટે જાણીતા છે. અત્યાર સુધી તેઓ ભાજપની ટિકિટ પરથી અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. જોકે, આ વખતે ભાજપે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે. અને ભાજપના ઉમેદવારને નિશાન સાથે ને તેઓ બેફામ અપશબ્દોનો પ્રયોગ કરતા જોવા મળી રહ્યાં છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.


 


ઉલ્લેખનીય છેકે, આ પહેલાં મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતુંકે, જો કોઈ મારા મતદારનો કોલર પકડશે તો તેને ગોળી મારી દઈશ. અગાઉ ઘરમાં ઘુસીને મારીશ અને એવા પ્રકારના લડાઈ ઝઘડા વાળા ઘણાં વિવાદિત નિવેદનો મધુ શ્રીવાસ્તવ આપી ચૂક્યાં છે. મધુ શ્રીવાસ્તવ એક દબંગ નેતા તરીકેની છાપ ધરાવે છે. જોકે, આ વખતે ભાજપમાં તેમની દબંગાઈ ચાલી નહીં. અને પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવ્યો. એ જ કારણે તેઓએ ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી કરવી પડી.