ગાંધીનગર :રાજ્ય સરકારનો કર્મચારી‌ હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. એસ.ટી.નિગમના કર્મચારીઓના ભથ્થાઓમાં નોંધપાત્ર વધારો કરીને તેમની માગણીઓનું હકારાત્મક નિરાકરણ કરાયુ છે. આ વિશે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકારના જી.એસ. આર.ટી નિઞમ હસ્તકના કર્મચારીઓના મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓ નો હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.


આ પણ વાંચો : દુધ રસ્તા પર ઢોળવા મુદ્દે આ માલધારીએ બે હાથ જોડીને કરેલી અપીલ દિલને સ્પર્શી જશે


મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો કરાયો છે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેની અમલવારી કરીને તે મુજબનું ચુકવવાનું બાકી એરીયર્સ તારીખ 1 ઓક્ટોબર 2022 સુધીમાં ચુકવવામાં આવશે. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની 11% અસર સપ્ટેમ્બર 2022 અને પેઈડ ઈન ઓકટોબર 2022 માં અસર આપવામાં આવશે. જ્યારે બાકી  ૩% મોંઘવારી ભથ્થાની અસર તારીખ 1 ફેબ્રુઆરી 2023 થી આપવામાં આવશે. આ 11% મોંઘવારી ભથ્થાના એરીયર્સની ૨કમ ત્રણ હપ્તામાં ચુકવવા નકકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓકટોબર 2022 સુધીમાં, બીજો હપ્તો 14 જાન્યુઆરી 2023 સુધીમાં, જ્યારે ત્રીજો હપ્તો 25 એપ્રિલ 2023 સુધીમાં આપવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


આ પણ વાંચો : ગુજરાતમાં વિરોધના વાવાઝોડા વચ્ચે બે આંદોલન સમેટાયા, જુઓ કોની માંગણી પૂર્ણ થઈ


તેમણે જણાવ્યું હતું કે,કર્મીઓને આપવામાં આવતું  ખાસ ભથ્થુ, સ્પે.પે, રાત્રિ પાળી ભથ્થુ, કેશ એલાઉન્સ, ધોલાઈ ભથ્થુ, બુટ ભથ્થુ, લાઈન ભથ્થું, રાત્રિ રોકાણ ભથ્થુ, આઉટ સ્ટે એલાઉન્સ અને મેળા ભથ્થામાં નોંધપાત્ર સુધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નોશનલ, ઈન્ક્રીમેન્ટ અને સુધારેલ ગ્રેડ–પે ધ્યાને લઈને તે મુજબ ઓવરટાઈમ ચુકવવામાં આવશે.  



વર્ષ ૨૦૨૧–૨૦૨૨ની હકક રજાનું રોકડમાં ચુકવણું તેમજ નિવૃત્ત કર્મચારીઓનું ચુકવણું આગામી ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવર કમ કંડકટરના સંવર્ગ રદ કરીને ડ્રાયવર અથવા કંડકટર પૈકી તેમની પસંદગી મુજબ જે તે કક્ષામાં તેઓનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦–૨૧ના વર્ષના એકસકગ્રેસીયા બોનસનું ચુકવણું કરવાનો નિર્ણય તેમજ નિગમ કક્ષાએ નવીન હેલ્પલાઈન નંબર પ્રસિધ્ધ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું રહેશે તેમ મંત્રીશ્રી મોદીએ વિગતો આપતાં જણાવ્યું હતું.