બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવી સરકારની શપથવિધિની તડામાર તૈયારી ચાલી રહી છે. આવતીકાલે એટલેકે, 12 ડિસેમ્બર 2022 ને સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજીવાર ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રિય નેતાઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે PM મોદી આજે રાત્રે જ ગુજરાત આવશે. પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અને નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આવતી કાલે ગુજરાતના મુખ્યમંત્રી સહિત નવા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. મોડી રાત સુધી પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના મોવડી મંડળે ગુજરાતના નવા મંત્રી મંડળ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આવતીકાલે 20 થી વધુ મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે. ગઈ કાલે મોડી રાત્રે મંત્રીમંડળ ના નામ પર મહોર લગાવવામાં આવી છે. આવતીકાલે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીએમ મોદી આજે રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ગોવાથી સીધા જ ગુજરાત પહોંચશે. 


મહત્વનું છે, કે ગઈકાલે ધારાસભ્ય દળની બેઠક થઈ હતી અને ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે.. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો છે. ત્યારે આવતીકાલે થનારી શપથવિધિમાં પીએમ મોદી ઉપરાંત  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. સાથે જ સાધુ સંતો અને સામાજિક આગેવાનો સહિત 10 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે.


શપથવિધિ પહેલાં જૂની ભૂપેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ સાથે પદનામિત મુખ્યમંત્રીનું ફેરવેલ લંચઃ
ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓને સીએમનું તેડુ આવ્યું છે. તમામ મંત્રીઓ સીએમ નિવસ્થાને પહોંચ્યા છે. નવી સરકાર ની શપથ ગ્રહણ પહેલા જુના મંત્રીઓ સાથે સીએમ ઔપચારિક મુલાકાત કરશે. દોઢ વર્ષની સરકારની કામગીરીને બીરદાવશે. તમામ મંત્રીઓ ના સાથ સહકારનો આભાર માનશે. જે અંતર્ગત સીએમ નિવાસસ્થાને જુના મંત્રીઓ સાથે સીએમનું ફેરવેલ લંચ ગોઠવવામાં આવ્યું છે. જેમાં સંગઠનના હોદેદારો પણ હાજર રહેશે.