ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી વચ્ચે ધીરેધીરે જનજીવન થાળે પડી રહ્યું છે. અર્થતંત્ર ધીરેધીરે પાટા પર આવી રહ્યું છે. તહેવારોની ઉજવણી માટે લોકો માર્કેટમાં ખરીદી કરતા પણ નજર આવી રહ્યાં છે. આવામાં દિવાળી બાદ આવતી લગ્નસરાની મોસમ માટે મોટી છૂટછાટ આપવામાં આવી છે. લગ્ન સીઝનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને  સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતીકાલે 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. તો સાથે બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે તેવુ પણ છૂટછાટમાં કહેવાયું છે.