ગાંધીનગરઃ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ગુનાખોરી અને નશાબંધીને લઈને એક પત્રકાર પરિષદ યોજી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ડ્રગ્સ જેવા જથ્થાઓ મળી આવે છે. તેનું સેવન કરવાથી યુવાધન બરબાદ થતું હોય છે. ગાંજો, હેરોઇન, કોકિન જેવા નશાકારક પદાર્થો રાજ્યમાંથી ઝડપાતા હોય છે. ત્યારે ડીજીપીએ જણાવ્યું કે, નશાબંધીનો કડક અમલ કરાવવા માટે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરાવેશ . તેમણે કહ્યું કે, આ મામલે એટીએસના માર્ગદર્શન હેઠળ એસઓજી કાર્યવાહી કરશે. શિવાનંદ ઝાએ જણાવ્યું કે, કોલેજનો આસપાસ નશાના પદાર્થોના કેસમાં જે વધારો થયો છે તે ચિંતાનું કારણ છે. જેથી રાજ્યના તમામ શાળા કોલેજે ડ્રગ્સ ફ્રી થાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહરાજ્ય પ્રધાને કહ્યું કે, ગુજરાતને નશા મુક્ત કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે. જે લોકો નશાબંધી કાયદાનો ભંગ કરશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં  આવશે. આ સાથે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે શાળા-કોલેજોમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 


ચેઇન સ્નેચિંગ કરનારની હવે ખેર નહીં
રાજ્યભરમાં ચેન સ્નેચિંગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ત્યારે આવી ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કાયદામાં ફેરફાર કર્યો છે. ગૃહપ્રધાને જણાવ્યું કે, પહેલા કાયદાની જોગવાઇ મુજબ આવા આરોપીઓને જામીન મળી જતા હતા. તેથી આવી પ્રવૃતિને રોકવા માટે કાયદાને કડક કરવામાં આવ્યો અને સજાની જોગવાઇમાં વધુ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે ચેન સ્નેચિંગના ગુનામાં ત્રણને બદલે પાંચથી દસ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર વટહુમક લાવશે. 


આ સાથે પ્રદીપસિંહે જણાવ્યું કે, ચોરીના ગુનામાં સાતથી દસ વર્ષની સજા ફટકારવામાં આવશે. તેમણે કહ્યું કે મહિલાઓની સુરક્ષાએ સરકારની પ્રાથમિકતા છે. તેથી ચેન સ્નેચિંગના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


ગૃહરાજ્ય પ્રધાને કહ્યું કે, રાજ્યભરમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઇવની ઝુંબેશ ચાલું જ રહેશે. આ માટે મોટા શહેરમાં એસઆરપીની વધુ કંપની ફાળવવામાં આવશે. આ માટે તમામ એસપી અને પોલીસ કમિશનરોને પણ સૂચના આપવામાં આવી છે.