આશ્કા જાની/અમદાવાદ :જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલનો મુદ્દો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલમાં ટોકનથી જ દર્દીઓને પ્રવેશ આપવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. સવારના 8 થી 9 માં ટોકન મેળવનારને પ્રાથમિકતા પ્રમાણે પ્રવેશ આપવા અંગેના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી થઇ  છે. દર્દીની સ્થિતિ સમજ્યા વિના ટોકનથી પ્રવેશના નિર્ણયથી દર્દીઓની હાલાકી વધશે એવી રજૂઆત આ અરજીમાં કરવામાં આવી છે. સાથે જ આ અરજી પર ઝડપી સુનાવણી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટની ટકોર બાદ ધન્વંતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે કેટલીક ગાઈડલાઈન નક્કી કરાઈ હતી. જ્યાં આજથી 108 એમ્બ્યુલન્સ સિવાય પણ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે માટે સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેવાની પ્રોસેસ ગોઠવી હતી. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના હતા. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવવાની પ્રોસેસ ગોઠવાઈ હતી. સાથે જ એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે તેવી સૂચના અપાઈ હતી. 


પરંતુ ટોકન સિસ્ટમ બાદ આજે હોસ્પિટલની બહાર અફરાતરફી મચી ગઈ હતી. દર્દીઓની લાંબી લાઈનો વધી ગઈ હતી. સાથે જ દર્દીઓની હાલાકી પણ વધી ગઈ હતી. તો મોટી સંખ્યામાં લોકોએ ટોકન સિસ્ટમનો વિરોધ પણ કર્ય હતો. ટોકન આપ્યા પછી પોતાનો નંબર ક્યારે આવે, પછી ફોન આવે ત્યા સુધી રાહ જોવાની, અને ત્યા સુધી દર્દીની હાલત વધુ ગંભીર બની શકે છે. તેથી આ અંગે હાઈકોર્ટમાં આ અંગેની અરજીની સુનવણી ઝડપી બનાવવા અપીલ કરાઈ છે. 


આ પહેલા 108 એમ્બ્યુલન્સના મુદ્દે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે સુનવણીમાં સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે ટોકનનો મામલો પણ હાઈકોર્ટના શરણે આવ્યો છે.