ગાંધીનગર: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના 12 રાજ્યોમાં સગર્ભા બહેનો અને બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ 4.0 -ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યોના દૂર-સૂદૂર અને આંતરિયાળ વિસ્તારો સુધી મિષન ઇન્દ્રધનુષ ઝુંબેશ પહોંચે તે દિશામાં લોકભાગીદારીથી કામગીરી હાથ ધરવા તમામ રાજ્યોને મંત્રી મનસુખભાઇ માંડવિયાએ અનુરોધ કર્યો છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત અપાતી વિવિધ પ્રકારની રસીની બુંદ બુંદ લાભાર્થીઓને જીવનઉપયોગી બનીને આરોગમ્ય બનાવશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારી વચ્ચે 170 કરોડ કોરોના રસીકરણ સાથે ભારત દેશે સમગ્ર વિશ્વમાં સહિયારા પ્રયાસોનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આજે વિશ્વના અન્ય દેશો ભારતના કોરોના રસીકરણ મહાઅભિયાનની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. એક સર્વેનો સંદર્ભ ટાંકતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2014 અગાઉ વિવિધ પ્રકારની રસીનું પ્રમાણ 43 ટકા હતું જે આજે દેશભરમાં 76 ટકા સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આરંભેલા મિશન ઇન્દ્રધનુષમાં દેશના 90 ટકા થી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દેશના અન્ય રાજ્યોના સહિયારા પ્રયાસો સાથે કટિબધ્ધ છે તેમ મનસુખભાઇએ જણાવ્યું હતુ.


ગુજરાતમાં આરંભ થયેલ મિશન ઇન્દ્રધનુષ 4.0. ત્રણ તબક્કામાં 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલ ના રોજ કાર્યરત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઇ આરોગ્ય સંલગ્ન વિવિધ રસીઓ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી , રૂબેલા જેવા ધાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે.


બે વર્ષથી નાની ઉમરના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. બે વર્ષથી વધુ  ઉમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો આ રસીકરણ અભિયાનનો ઉદ્દેશ છે. અત્રે નોંધનીય છે કે, રાજયમાં અગાઉ મિશન ઇન્દ્રધનુષના ૨૦૧૫ થી ૨૦૨૧ દરમ્યાન સફળ અમલીકરણ કરવામાં આવેલ છે. આ દરમ્યાન કુલ 9,61,380  બાળકો અને 2,05,925 સગર્ભા સ્ત્રીઓને 1,94,193 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા IMI 4.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતુ. રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષ-4.0 લોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, અધિક નિયામક ડો. નયન જાની વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube