સપના શર્મા, અમદાવાદઃ ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત ખામી સાથે જન્મેલા બાળકોની સફળ સર્જરી અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે કરી છે. આ બીમારીમાં જન્મજાત અન્નનળીની ખામીને કારણે નવજાત પાણી કે ખોરાક લઇ શકતા નથી. અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને  સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરોએ સર્જરી કરીને પીડામુક્ત કર્યા છે. સિવિલ હોસ્પિટલની ટીમે બંને બાળકોમાં જઠરમાંથી અન્નનળી બનાવી મોં થી ખોરાક લેતા કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બીમારી અંદાજીત દર 3200માંથી લગભગ એક બાળકને થાય છે, જ્યારે બાળકને જન્મજાત ખામી ને લીધે  ખોરાકની નળી યોગ્ય રીતે બની ન હોય ત્યારે આવી સ્થિતિ ઉદભવે છે.  અંદાજીત  દર 3200 માંથી લગભગ એક બાળક આ જન્મજાત ખામી સાથે જન્મે છે જેને ઇસોફેજલ એટ્રેસિયા કહેવાય છે. સામાન્ય રીતે આવા બાળકોમાં ફુડપાઈપ અને વિન્ડપાઈપ પણ એકબીજા સાથે અસામાન્ય રીતે જોડાયેલા હોય છે.


જો કે, 'માત્ર  અન્નનળીના એટ્રેસિયા' તરીકે ઓળખાતી, દુર્લભ ખામી જેનો વ્યાપ 8% છે તેમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી પરંતુ તેની જગ્યાએ ગળા થી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠર થી થોડે ઉપર સુધી બીજો બંધ છેડો હોય છે જેથી મોં દ્વારા લાળ પણ ગળી શકાતી નથી. 


સ્મિત અને મિતાંશ એવા બે બાળકો છે જે આ દુર્લભ જન્મજાત ખામી સાથે જન્મ્યા હતા. સ્મિત ભરૂચના મજુરી કરી ગુજરાન ચલાવતા વિશાલભાઇ અને દક્ષાબેન ગોહિલનો અઢી વર્ષનો પુત્ર છે જ્યારે મિતાંશ 2 વર્ષ અને 4 મહિનાનો છે અને તેના માતા-પિતા ભાવનાબેન અને મયુરભાઇ પરમાર અમદાવાદના રહેવાસી છે.


જન્મબાદ આજદીન સુધી બંને બાળકો પોતાના મોઢાથી અન્નનો એક દાણો પણ લઇ શક્યા ન હતા. જીવનના પ્રથમ દિવસે જ  આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો ઉપર પ્રાથમિક ઓપરેશન કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપર ના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગમાં કાઢવાનું (લાળ બહાર આવવા માટે ) અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવાનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. આ બેઉ પરિવારો માટે જીવનનો આ સમય ખૂબ જ કઠિન અને દયનીય હતો. પોતાના વ્હાલ્સોયા દીકરાઓને જીવાડવા માતાપિતા કેટલી હદ સુધી સંઘર્ષ કરી શકે છે તેનું આ ઉતમ ઉદાહરણ છે.