ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ 300 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ-ઉદેપુર 299 કિમી રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત ઉદેપુર-ડુંગરપુર રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ​​​​​​​અમદાવાદ-ઉદેપુર રેલ્વે ટ્રેકનું બ્રોડગેજમાં રૂપાંતર થઈ ગયા બાદ હવે રૂ.300 કરોડનો ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેકટ હાથ ધરાયો છે. ઉદેપુરથી જયપુર રૂટ ઈલેક્ટ્રીફાઇડ થઈ ચૂક્યો છે. માત્ર અમદાવાદથી ઉદેપુર 299 કિમીનું ઇલેક્ટ્રીફિકેશન બાકી હતું. આ બ્રોડગેજ ટ્રેકનું સંપૂર્ણ ઇલેક્ટ્રીફિકેશન થઇ ગયા બાદ ડીઝલ એન્જિન હટાવી લેવામાં આવશે અને જિલ્લાવાસીઓને હાઈસ્પીડ ટ્રાવેલિંગની સુવિધા મળતી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સમયમાં આટલી કનેક્ટીવિટી વધશે-
1. અમદાવાદ-જયપુર વાયા હિંમતનગર ડેઈલી ઇન્ટરસિટી એક્સપ્રેસ
2. અમદાવાદ-ઉદેપુર વાયા હિંમતનગર ડેલી ઇન્ટરસિટી એક્સપ્રેસ
3. ઉદેપુર-સિકંદરાબાદ વાયા હિંમતનગર વીકલી હમસફર એક્સપ્રેસ
4. ઉદેપુર-ચેન્નઈ સેન્ટ્રલ વાયા હિંમતનગર વિકલી એક્સપ્રેસ
5. ઉદેપુર-પૂણે વાયા હિંમતનગર બીએસઆર વિકલી એક્સપ્રેસ
6. ગુજરાત મેલ સુપર ફાસ્ટ એક્સટેન્શન વાયા હિંમતનગર-ઉદેપુર


હાલમાં બ્રોડગેજ લાઈન પર ડીઝલ એન્જિન મહત્તમ 80 કિમીની સ્પીડે દોડી રહ્યાં છે. ઇલેક્ટ્રીફિકેશન બાદ 110ની સ્પીડે એન્જિન દોડતાં થશે. ત્યારે હિંમતનગર થી અમદાવાદ અને ઉદયપુર સુધીની સફરનો સમય પણ ઘટી જશે, માલગાડી પણ વધુ સ્પીડથી દોડશે. વિદ્યુતીકરણનું કામ કરતી એજન્સી મુજબ, ઉદેપુરથી હિંમતનગર 209 કિમી રેલવે ટ્રેકના વિદ્યુતીકરણનું કામ બે ભાગમાં વહેંચાયું છે. ઉદેપુરથી ડુંગરપુર અને ડુંગરપુરથી હિંમતનગર એકસાથે કામ ચાલી રહ્યું છે. ઉદેપુરથી ખારવાચાંદા 40 કિમી ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ કરી એન્જિન દોડાવી ટ્રાયલ થઈ ચૂક્યો છે. માર્ચ-2023 સુધીમાં 209 કિમીનું કામ પૂર્ણ કરવાનો લક્ષાંક છે. પ્રતિદિન એક કિલોમીટર કામના હિસાબે 300 દિવસમાં પાવરબ્રેડ સ્ટેશન બનાવવા સહિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા નક્કી કરાયું છે.


બદલાતા સમયની સાથે પરિસ્થિતિઓ પણ બદલાઈ છે. બદલાતી સરકારોની સાથે ગુજરાતની વિકાસ યાત્રામાં પણ અનેક ઉતાર ચઢાવ આવ્યાં છે. જોકે, છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં સતત ભાજપનું શાસન છે. એવામાં નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલીવાર વિકાસની રાજનીતિને ગુજરાત થકી મોડલ તરીકે દેશમાં લાગૂ કરી છે. એ જ કારણ છેકે, વિકાસકામોને સરકાર દ્વારા સતત વેગ આપવામાં આવી રહ્યો છે. નાના-મોટા કામોમાં ચોક્કસ કચાશ દેખાતી હશે અને તેને વારંવાર ઉજાગર કરીને તંત્રને ટકોર કરવી જ પડતી હોય છે. પણ ગુજરાતના કે દેશના સર્વાંગી વિકાસની વાત હોય ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતના વિકાસ પર સરકાર દ્રારા વિશેષ ભાર અપાઈ રહ્યો છે. એજ કારણ છેકે, આજથી છ દાયકા પહેલાં એટલેકે, વર્ષ 1961માં રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં જ્યાં સ્ટીમ એન્જિનથી 10 કિ.મી.ની સ્પીડે ટ્રેન દોડતી હતી ત્યાં જ હવે 110 કિ.મી.ની સ્પીડે ઈલેક્ટ્રીક ટ્રેન દોડતી થઈ જશે. સ્ટીમ એન્જિનથી શરૂ થયેલી રેલસફર બાદ સાબરકાંઠાને 61 વર્ષે મળશે ઇલેક્ટ્રીક ટ્રેનની તેજ સુવિધા મળશે.


સાબરકાંઠા જિલ્લામાં સને 1961માં સ્ટીમ એન્જિનથી ચાલતી રેલગાડી દોઢેક વર્ષમાં ઈલેક્ટ્રીક એન્જિનથી ચાલતી હશે. 10 કિલોમીટરની સ્પીડવાળી ગાડી સીધી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હશે. જેને લઇ જિલ્લાની મુંબઈ, ચેન્નાઇ, દિલ્હી સહિતના મેટ્રોસિટી સાથે કનેક્ટિવિટી વધી જશે. અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ ટ્રેકનું ઇલેક્ટ્રીફિકેશન ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાના લક્ષાંક સાથે હાલ ઉદેપુર-ડુંગરપુર રેલવેટ્રેકનું ઇલેક્ટ્રીફિકેશન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, રૂ.1225 કરોડના આખા પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ.950 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે.