ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પર સૌ કોઈની નજર છે. તેનું કારણ છેકે, લાંબા સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સતત તૂટી રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસની ઘણી ગાંઠી સીટો વધી છે. તો લોકસભામાં તો ગુજરાતમાં ઘણાં સમયથી કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યું નથી. ત્યારે આ વખતે કોંગ્રેસે રણનીતિ બદલી છે. જે અંતર્ગત આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની 26 પૈકી 15 બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લી બે ટર્મથી ભાજપ લોકસભામાં ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને પછાડી રહ્યું છે. આ વખતે પણ ભાજપ સતત ત્રીજીવાર ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો જીતીને જીતની હેટ્રિક લગાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી છે. તમામ 26 બેઠકોમાં સમય બગાડવાને બદલે કોંગ્રેસ કેટલીક બેઠકોની પસંદગી કરી છે. જેની પસંદગી પણ વિવિધ સર્વે અને રિસર્ચ બાદ કરવામાં આવી છે.


આ વખતે ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસ કુલ 26 પૈકી 15 બેઠકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. ઉલ્લેખનીય છેકે, પાછલી બે લોક્સભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ બેઠક પ્રાપ્ત થઈ નથી. તેવામાં હવે કોંગ્રેસ દરેક બેઠક પર મહેનત કરવાને બદલે તેમને જે બેઠકો પોતાને માટે સરળ લાગી રહી છે તેવી બેઠકોની યાદી બનાવીને ત્યાં પ્રયત્ન કરી રહી છે. આ 15 બેઠકોના ચયન માટે ગુજરાત કોંગ્રેસે 2004 અને 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામોનો આધાર લીધો છે. 


કોંગ્રેસ કઈ 15 બેઠકો પર કરશે મહેનતઃ
કોંગ્રેસ ગુજરાતની 26 લોકસભા પૈકી આ 15 બેઠકો પર વધારે મહેનત કરશે. જેમાં કોંગ્રેસે ઉત્તર ગુજરાતની પાટણ, સૌરાષ્ટ્રની અમરેલી તથા જામનગર, મધ્ય ગુજરાતની ખેડા, આણંદ, પંચમહાલ તથા દાહોદ તેમ જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ તથા બારડોલી બેઠક પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે. કારણકે, વર્ષ 2004 અને 2009માં અહીં કોંગ્રેસની સ્થિતિ સારી હતી. આ ડેટાનો આધાર લઈને કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્લાન કરી રહી છે. છેલ્લી બે ટર્મની વાત કરીએ તો 2014 અને 2019 માં તો નરેન્દ્ર મોદીની લહેર એવી ચાલી કે બન્નેમાં ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસને લપડાક પડી.


સંગઠનમાં ફેરફાર કરશે કોંગ્રેસઃ
ગુજરાતમાં લોકસભા મિશનને સફળ બનાવવા માટે કોંગ્રેસ પોતાના પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરે તેની સંભાવના છે. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કાર્યકરો અને નીચલા સ્તર સુધી વિચાર વિમર્શ કરીને નિર્ણય લેશે.


રાજીવ ગાંધીના જન્મ દિન કોંગ્રેસ યાત્રા યોજશે-
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આગામી રવિવારે આવી રહેલા જન્મ દિવસે પ્રદેશ કોંગ્રેસ અમદાવાદના સરદાર બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાથી પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલય સુધી યાત્રા કાઢશે. રાહુલ ગાંધી ગુજરાતથી પૂર્વ ભારત સુધી યાત્રા કાઢવાના છે તેની તારીખ હવે નજીકના ભવિષ્યમાં જાહેર થવાની હોવાથી કોંગ્રેસ તેની તૈયારીમાં પણ લાગી ગઈ છે. આ યાત્રાને લઈને કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી હતી. આ અગાઉ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી શ્રીનગર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. હવે તેનો બીજો ભાગ ગુજરાતથી શરૂ થવા જઈ રહ્યો છે.