ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાના રાજીનામા મામલે મોટા ખુલાસા બાદ એના કારણોની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં ગુજરાતના રાજકારણમાં એવી પણ ચર્ચા છે કે ગુજરાત યુનિવર્સસિટીના કારનામા પણ આ રાજીનામાનો એક ભાગ છે. મહામંત્રી પ્રદીપ વાઘેલાની કારકીર્દી એક વિદ્યાર્થી નેતા તરીકે થઈ છે. NSUIના સમર્થનથી યુનિમાં સેનેટના સભ્ય બન્યા હતા.  તેઓ ABVP થકી વિદ્યાર્થી નેતા તરીકે હંમેશાં સક્રિય રહ્યાં છે. આજે પણ યુવા નેતા તરીકે ABVPમાં તેમના નામનો પડતો બોલ ઉપાડી લેવાય છે. ભાજપની વિદ્યાર્થી પાંખમાં આજે પણ પ્રદીપસિંહના નામનો દબદબો છે. જેથી ગુજરાત યુનિવર્સસિટી સાથે જોડાયેલું રાજકારણ તેમના માટે અતિ અગત્યનું રહ્યું છે. ભલે તેઓ કમલમ અને સંગઠનમાં દબદબો જાળવવા લાગ્યા હતા પણ તેમની ચંચુપાત હંમેશાં ABVP સાથે રહી છે અને ગુજરાત યુનિમાં તેમની દખલગીરી પણ રહી છે. આ દખલગીરીમાં જ એમનો ભોગ લેવાયાની ચર્ચા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘેલાએ યુનિમાં ચાલતી કામગીરીમાં અંગત રસ દાખવ્યો


એવું કહેવાય છે કે યુનિવર્સસિટીમાં દાદા સાહેબના પગલાં નજીક રહેલી યુનિ.ની કરોડોની જમીન આ વિવાદનું મુખ્ય કારણ છે. જેની હાલની કિંમત કરોડોમાં છે. જે જમીન પર ઘણાનો ડોળો હતો. આ પ્રકરણમાં આડકતરો હાથ પ્રદીપસિંહ વાઘેલાનો હોવાની ચર્ચા છે. આ જમીન તેમને નડી ગઈ છે. બાપુ મોટા થઈ ગયા અને ગુજરાત કમલમનો વહીવટ સંભાળવા લાગ્યા પણ તેમની નજર હંમેશાં યુનિમાં ચાલતા વિકાસ પર રહી છે. વાઘેલાએ યુનિમાં ચાલતી કામગીરીમાં અંગત રસ દાખવ્યો છે અને મળતિયાઓને લાભ પણ અપાવ્યો છે. આ બાબતે અનેકવાર વિવાદો થયા છે પણ પ્રદીપસિંહ પ્રદેશ મહામંત્રી હોવાને પગલે આ બાબતને હંમેશાં અવગણવામાં આવી હતી. 


વાઘેલાએ પાવરનો દુરોપયોગ કર્યો


પાટીલના ડાબા હાથ હોવાને નાતે પ્રદીપસિંહે પણ પાવરનો ઉપયોગ કરતાં આખરે ગુજરાત યુનિના એક કુલપતિના ગળામાં ગાળિયો ભરાતાં આખરે એમને એક ભાજપના સંબંધીનો સહારો લઈ ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરી હતી. જે બાબત પ્રદીપસિંહના ધ્યાનમાં આવતાં તેમને તેમના પાવરનો ઉપયોગ કરી ગુજરાત યુનિના. પૂર્વ કુલપતિની પોલીસનો સહારો લઈને 5 કલાક પૂછપરછ કરાવી હોવાની પણ ચર્ચા છે. તેઓએ આ મામલે ફક્ત રજૂઆત કરતાં વાઘેલાના પાવર નીચે દબાયેલી પોલીસે પૂર્વ કુલપતિનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો પણ ભાજપમાં ઉચ્ચકક્ષાએ પહોંચ્યો છે. આખરે રેલો છેક પાટીલ સુધી પહોંચતાં પાટીલે સમજાવી વાઘેલા પાસે રાજીનામું લઈ લીધું છે. આ બાબતની ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે. આ બાબતોની અમે પુષ્ટી કરતા નથી પણ આ પ્રકરણ પણ પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા સાથે જોડાયેલું છે.