ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીમાં આજે ધરમૂળથી મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાંથી ગોપાલ ઈટાલિયા પાસેથી પ્રદેશ પ્રમુખનું પદ છીનવી લીધું છે. આમ આદમી પાર્ટીએ ઈટાલિયા પાસેથી પ્રદેશ પ્રમુખનું પદ આંચકીને તેમને હાંસિયાની બહાર ધકેલવાની પ્રક્રિયા આરંભી દીધી છે. તેના જ ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાને ગુજરાત બહાર તગેડવામાં આવ્યાં છે. જ્યારે ઈટાલિયાના સ્થાને આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન પર ભરોસો મુકીને તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હાર બાદ AAPમાં એક નવો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હંમેશા ગાળો ભાંડનારા અને વિવાદોના પર્યાય બની ચુકેલાં ગોપાલ ઈટાલિયાને પક્ષ દ્વારા સાઈડલાઈન કરવા માટે ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યાં છે. AAP દ્વારા ગોપાલ ઈટાલિયાને હાલ મહારાષ્ટ્રનના સહપ્રભારી જેવું રૂપકડા નામ વાળું પદ પકડાવીને ગુજરાત બહારનો રસ્તો બતાડવામાં આવ્યો છે. જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતનું સુકાન સોંપ્યું છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ચહેરાને નક્કી કરવા માટે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ ગોપાલ ઈટાલિયા કરતા ઈસુદાન ગઢવીને ચાર ગણા વધારે મત મળ્યાં હતાં. જેને આધારે ઈસુદાનને પક્ષ દ્વારા સીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.


ઈટાલિયાને બહાર તગેડીને AAP એ ઈસુદાનને કેમ બનાવ્યાં ગુજરાતના પ્રમુખ?
1) રાજકીય વર્તુળો આને આપના આંતરિક સૂત્રોની માનીએ તો ગોપાલ ઈટાલિયાના કારણે પક્ષની છબિ ખરડાઈ રહી હતી.
2) ઈટાલિયાના સોશિયાલ મીડિયા પર વાયરલ થયેલાં વિવાદિત વીડિયોને કારણે લોકોમાં તેની સામે ખુબ આક્રોશ હતો.
3) ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ બનાવ્યાં બાદ ખુદ અરવિંદ કેજરીવાલ પણ તેનાથી લાંબા સમયથી નાખુશ હતાં.
4) બીજા કેટલાંક સારા લોકો જે પક્ષમાં જોડાવવા માંગતા હતા તેઓ ગોપાલ ઈટાલિયાના કારણે જોડાતા નહોંતા. મહેશ સવાણી જેવા સારા લોકો એનું ઉદાહરણ છે કે જે જોડાયા બાદ પરત ફર્યાં.
5) ગોપાલ ઈટાલિયામાં સંગઠનને મજબૂત કરવાની કોઈ યોગતા નહોંતી.
6) ગોપાલ ઈટાલિયાથી આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ જ હતા નારાજ.
7) પક્ષને આર્થિક ભંડોળની પણ જરૂર છે, જે ઈટાલિયા બહારથી લાવી શકે તેમ નથી, જ્યારે ઈસુદાન પાસે પક્ષની આવી આશા છે.
8) ઈસુદાન ગઢવી પત્રકાર તરીકે એક સ્વચ્છ છબિ ધરાવતા હોવાથી પક્ષે તેમના પર ભરોસો મુક્યો છે.
9) ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર બનાવ્યાં પછી ચૂંટણીમાં હાર છતાં કેજરીવાલે પોતાનો સિક્કો ઉંચો રાખવો પણ જરૂરી છે.
10) ઈસુદાન ગઢવીના સરળ સ્વભાવને કારણે સંગઠનમાં કાર્યકરો તેમને પસંદ કરે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે (BJP) રેકોર્ડબ્રેક 156 બેઠકો મેળવી ઐતિહાસિક જીત મેળવી છે. જોકે, આ વખતે પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટી (AAP)એ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને ભાજપને ટક્કર આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીને માત્ર 5 જ બેઠકો મળી શકી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી તેના ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે.  ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે અને ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે, ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે 6  અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં લોકો તો મોટી સંખ્યામાં એકઠા થતા હતા, પરંતુ તેને વોટ પરિવર્તિત ન થયા. જેના કારણે આપને માત્ર પાંચ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. જોકે, આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડ્યો છે અને લગભગ 35 બેઠકો પર તેના કારણે પરિણામો બદલાઈ ગયા. ગુજરાતમાં પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની ગઈ છે. ત્યારે હવે આપના ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે તેવું કહેવાઈ રહ્યું છે. ગુજરાતમાં આપ હવે કોંગ્રેસનો વિકલ્પ બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે ઈસુદાન ગઢવીને પક્ષના નવા પ્રદેશ પ્રમુખ બનાવાયા છે.