ગાંધીનગરઃ રાજ્યપાલ,  મુખ્યમંત્રી, મંત્રીગણ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિને પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ૧ લી મે ૭૩ મા ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે હાથ ધરાયેલ ચર્ચા ની વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, 1 લી મે 73 મા ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે. 


મુખ્યમંત્રીના વરદ હસ્તે કુલ રૂ. ૩૦૩.૪૯ કરોડની રકમના કુલ ૫૫૧ વિકાસ કામો નું ઈ-લોકાર્પણ / ઈ- ખાતમુહુર્ત / ઈ-ભૂમિપુજન કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. વધુમાં ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 29 મી એપ્રિલ થી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવનાર છે. 


આ ઉજવણીમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી મહારાણા પ્રતાપની ૧૨ ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે. પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની ૨૧ જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે.  વધુમાં આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શો નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત સ્થાપના દિવસ સંદર્ભમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને શુભેચ્છાઓ પાઠવીને ઉત્તમ થી સર્વોત્તમ ગુજરાત બનાવવાના સરકારના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.