Gujarat Politics: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જ કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એ ચર્ચાઓ જોરમાં હતી. એવામાં ભાજપે જ્યારે પોતાના પત્તા ખોલ્યાં અને કેટલાંક મોટા માથાઓની બાદબાકી કરી ત્યારે ફરી એકવાર સૌ કોઈ ચોંકી ગયા. એનાથી પણ ખરાબ કંઈ બન્યુ હોય આ વખતે તો એવું પહેલીવાર બન્યુ હશે કે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હોય અને પછી પક્ષના આંતરિક વિરોધને કારણે ઉમેદવાર બદલવાનો વારો આવ્યો હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિની વચ્ચે ગુજરાત ભાજપની ઘણી એવી બેઠકો છે જ્યાં હજુ પણ સબસલામતની સ્થિતિ નથી. એમાં સૌથી આગળ કોઈ બેઠક હોય તો એ છે સાબરકાંઠા. ઉમેદવાર બદલ્યા બાદ સાબરકાંઠામાં સ્થિતિ વણસી છે. ત્યારે ચૂંટણી પહેલાં મામલો ઠાળે પાડવા અને ચૂંટણીમાં તેનું નુકસાન ટાળવા એક પ્રકારે ડેમેજ કંટ્રોલ માટેની જવાબદારી હવે દિલ્લી હાઈકમાન્ડે ઉપાડી લીધી છે. એટલે જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના આગેવાને તેડું મોકલ્યું હતું.


ઉમેદવાર બદલ્યા બાદ ઉકળતો ચરુઃ
ઉલ્લેખનીય છેકે, ભાજપે ઉમેદવાર બદલ્યા પછી સાબરકાંઠામાં હજુય ઉકળતા ચરુ જેવી પરિસ્થિતી છે. ભીખાજી ઠાકોરના સમર્થકોનો રોષ હજુ ઠર્યો નથી. આ જોતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. આ જોતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાબરકાંઠા અને અરવલ્લીના ૧ ભાજપના નેતાઓને ગાંધીનગર તેંડાવ્યા હતાં જયાં એક હોટલમાં બંધબારણે ચર્ચા કરીને અસંતોષ ડામવા મથામણ કરાઇ હતી.


કેમ ઉમેદવાર બદલવા મજબુર થયું ભાજપ?
સાબરકાંઠામાં પાયાના કાર્યકર સમા ભીખાજી ઠાકોરની અટકને લઈને ખુદ ભાજપના જ એક જૂથે વિરોધ વંટોળ ઉભો કર્યો હતો. ભીખાજી ઠાકોર નહી બલ્કે આદિવાસી છે તેવું ચિત્ર ઉભુ કરાયુ હતું પરિણામે કેન્દ્રીય ભાજપ નેતાગીરીએ ઉમેદવાર બદલવા મજબૂર થવુ પડયુ હતું પણ ઉમેદવાર પસંદગીને લઈને હવે ભાજપમાં જ આંતરિક વિરોધવંટોળ યથાવત રહ્યો છે. મૂળ કોંગ્રેસી ગોત્રના શોભના બારૈયાને ટિકિટ અપાતાં ભીખાજીના સમર્થકો ભાજપના પ્રચારથી અળગા રહ્યા હોવાની વાતને લઈને ભાજપ ચિંતાતુર છે. 


નેતાઓને પાઠ ભણાવા માંગે છે પક્ષના જ કાર્યકરોઃ
સૂત્રોના મતે, હજુય ભીખાજી ઠાકોરના સમર્થકો ભાજપના નેતાઓનું કહેયુ માને તેમ નથી. આ વખતે શોભના બારૈયાના ભાજપના સ્થાનિક નેતા-કાર્યકરો પાઠ ભણાવવા માંગે છે.


મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ મનામણા કરવા લગાવી પડી હતી દોડઃ
આ અગાઉ ખુદ મુખ્યમંત્રી હિંમતનગર દોડી ગયા હતાં. ત્યાર બાદ ગૃહમંત્રી સંઘવીએ પણ ઘણાં પ્રયાસો કર્યા હતા પણ તેમનું કઈ ચાલ્યુ ન હતું. પ્રદેશ પ્રમુખ પાટીલે તો મંચ પરથી ચિમકી આપીને ચૂંટણી કામે લાગી જવા આદેશ કર્યો હતો પણ કશો મેળ પડયો નથી. અંતે ભાજપના આંતરિક વિખવાદનો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે તેવી ભીતિને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના નેતાઓને તેડાવીને ગાંધીનગરમાં પથિકાશ્રમ હોટલમાં બંધબારણે ચર્ચા કરી બધાને મતભેદ ભૂલીને ચૂંટણીના કામે લાગી જવા કહ્યું હતું. આમ, અસંતોષ ડામવા ભાજપે છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવ્યુ છે.