ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી મહિલાને તેનો જ પાડોશી ખરાબ નજરે જોતો હતા અને અભદ્ર ઈશારાઓ કરતો હતો. આ વાતની જાણ મહિલાએ પતિને કરતા તેણે પાડોશીને ઠપકો આપ્યો હતો. જોકે, પતિ સાથે પાડોશીએ ઝઘડો કરી પાંચ શખસોએ ભેગા થઈને તેને તલવાર મારી દીધી હતી. ઘાયલ પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પતિએ રણજિત દોલતરાય, દોલતરાય, દીપક, લક્ષ્મીબેન, મિતલ સહિતના લોકો સામે અમરાઇવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાઈવાડીમાં જિતેન્દ્ર સોલંકી પત્ની અને બાળક સાથે આનંદ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની સામેના બ્લોકમાં રહેતો રણજિત દોલતરાય છેલ્લા ઘણા સમયથી પત્નીને હેરાન કરતો હતો. ગઈકાલે જીતેન્દ્રભાઈની પત્ની ગેલેરીમાં સાફ સફાઈ કરવા માટે ગયા ત્યારે રણજિત સામે ઊભો રહીને જોયા કરતો હતો અને અભદ્ર ઈશારા કરતો હતો. આથી પરિણીતાએ પતિને આ મામલે જાણ કરી હતી. તેથી જિતેન્દ્રભાઈ ગેલેરીમાં જઈને રાજિતને ઠપકો આપ્યો હતો. બાદમાં રણજિત અને જીતેન્દ્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.


ફ્લેટની નીચે જિતેન્દ્ર ગયો ત્યારે રણજિત અને તેના પિતા દોલતરાય અને તેનો ભાઈ દીપક એમ ત્રણ લોકોએ ભેગા જ હતા અને જિતેન્દ્રભાઈને જોતાની સાથે જ ત્રણેય લોકોએ મારવાનું શરૂ કરી દીધું હતું. એટલામાં રણજિત તલવાર લઈને આવ્યો અને જિતેન્દ્રભાઈને માથા, બરડા અને હાથમાં ધા મારી દીધા હતા. દોલતરાયે પાઈપ ફટકારી હતી. રણજિતના ઘરની મહિલાઓએ પણ જિતેન્દ્રભાઈને માર માર્યો હતો. બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયા હતા. હુમલાખોરોએ ધમકી આપી હતી કે હવે પછી અમારી સામે પડીશ તો જીવતો નહીં છોડીએ. સ્થાનિક લોકોએ જિતેન્દ્રભાઈને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અમરાઈવાડી પોલીસે રણજિત સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.