ઝી બ્યૂરો, અમદાવાદઃ સતત વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. આ સ્થિતિમાં પેટ્રોલથી ચાલતી ગાડીવાળા સીએનજી ફીટ કરાવી રહ્યાં છે. એવામાં લાઈટ બિલ બચાવવા હવે લોકો સોલાર તરફ વળ્યાં છે. એવામાં ગુજરાત મુલાકાતે આવેલાં પીએમ મોદીએ પણ રિન્યુએબલ એનર્જી પર ભાર મુકવાની સલાહ આપી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રહેવાના સ્વપ્નને વેગ આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019થી શરૂ કરાયેલી આ “સૂર્ય ગુજરાત” યોજનાની સમય મર્યાદા માર્ચ-2022 સુધીની હતી. સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી આ યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવવામાં આવ્યો છે તેમ ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી રાજ્યના 7 લાખ જેટલા રહેણાંક ગ્રાહકોને 3000 મેગા વોટની સોલાર કેપેસીટી માટે અંદાજીત રૂ. 4989 કરોડ સબસીડીનો લાભ ત્રણ વર્ષમાં મળશે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 2000 કરોડની સહાયથી ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોને ત્યાં સોલાર સિસ્ટમનું સ્થાપન કરવામાં આવ્યું છે જેની ક્ષમતા 1183 મેગાવોટ જેટલી છે. હાલ, સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.


વધુમાં જણાવ્યું હતું કે, રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચમી ઑગષ્ટ 2019થી સોલાર રૂફટોપ સબસીડી યોજના “સૂર્ય ગુજરાત” જાહેર કરાઇ છે. આ યોજના અંતર્ગત રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રથમ 3 કિલોવોટ સુધી નિયત કરેલ કિંમતના 40% સબસીડી તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી મળવાપાત્ર છે. આ ઉપરાંત ગ્રુપ હાઉસીંગ સોસાયટી (GHS)/રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન (RWA)ની કોમન સુવિધાઓના વીજજોડાણો ઉપર ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં 500 કિલોવોટ સુધી 20% સબસીડી આપવામાં આવે છે.


મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજના માટે રાજ્યના રહેણાંક ગ્રાહકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. રુફટોપ સોલર સિસ્ટમની સ્થાપના માટે રહેણાંક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. જે પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં વધુ યોગદાન આપશે. એટલું જ નહિ, સોલાર રૂફટોપના ઇન્સ્ટોલેશનથી વીજ બીલમાં ઘટાડો થશે અને ઉત્પાદિત વધારાની વીજળી ગ્રીડમાં વેચી વધારાની આવક ઉભી કરી એક વપરાશકર્તા-ઉત્પાદક તરીકે પણ ભૂમિકા નિભાવશે.