ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. રથયાત્રા આવતા પહેલાં જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પધરામણી કરીને મેઘરાજા કાળઝાળ ગરમીથી છૂટકારો આપીને ટાઢક આપશે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આજથી 4 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખબકી શકે છે. ખાસ કરીને એજ કારણોસર દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લાં 24 કલાકથી રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘો મહેર કરી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.


બીજી તરફ વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદ પડ્યો છે. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે.


વરસાદને કારણે ગીરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ નયનરમ્ય નજારો જોવા લોકો ગીરનાર તળેટીએ પહોંચ્યા છે. જિલ્લાના વિસાવદરમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતા સોકોને ગરમીથી રાહત મળી. તો શહેરના રસ્તાઓ પર વહેતી નદી જેવા વરસાદી પાણી વહેતા થયા.