અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીની ચેતવણી! ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે
Communal Clash in Kheda: ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ પાડવામાં આવી હતી. અસામાજિક તત્વોના ટોળાએ અચાનક આવીને ચાલુ ગરબા પર પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકોને ઈજા પહોંચી હતી.
ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ક્યાંક-ક્યાંક તોફાનો, પથ્થરાવના બનાવો સામે આવ્યાં છે. જેમાં અસામાજિક તત્વો દ્વારા ઈરાદા પૂર્વક રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે. ત્યારે આજે દશેરાના દિવસે ખેડાના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં ગૃહ રાજ્યમંત્રીએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું. હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાત દેશનું સૌથી સલામત અને શાંતિપ્રિય રાજ્ય છે. જો કોઈ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુંકે, શાંતિ ડહોળવાનો પ્રયાસ કોઈ સમાજ દ્વારા નહીં પણ અસામાજિક તત્વો દ્વારા કરાયો હતો. આવા લોકો કોઈ સમાજના નથી હોતા. પણ આવી કોઈપણ ગુનાઈત પ્રવૃતિને સાંખી નહીં લેવાય. ઉલ્લેખનીય છેકે, નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેડામાં અસામાજિક તત્ત્વો દ્વારા ચાલુ ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરાતા વાતાવરણ ડહોળ્યુ હતું. ઉંઢેરા ગામમાં રાત્રે ચાલુ ગરબામાં પથ્થરમારાની ઘટનાને પગલે દોડભાગ મચી ગઈ હતી. અને શાંતિપ્રિય વાતાવરણમાં ચાલતા ગરબામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી થઈ હતી. અસામાજિક તત્ત્વો દ્રારા રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માતર તાલુકાના ઊંઢેલા ગામે આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખેડા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી તમામની જાહેરમાં જ ધુલાઈ કરી હતી. આરોપીઓની જાહેરમાં જ ધુલાઈ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.