અમદાવાદઃ ગુજરાતમાં આજે છ મહાનગર પાલિકા (corporations) ની 21 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. તમામ રાજકીય પક્ષોની નજર હવે આ ચૂંટણી પરિણામો (Election Repult) પર મંડાયેલી છે. રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર મહાનગર પાલિકાનું પરિણામ આજે જાહેર થવાનું છે. રવિવારે આ છ મહાનપગર પાલિકામાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું. જ્યાં અમદાવાદમાં સૌથી ઓછુ તો જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. ગુજરાતની કુલ છ મહાનગરપ પાકિલાની 575 સીટો પર 2276 ઉમેદવારો મેદાનમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને મળશે સત્તા?
આ છ મહાનગર પાલિકામાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અડીખમ ગુજરાતના નારા સાથે મેદાનમાં ઉતરી હતી. તો કોંગ્રેસ સત્તા પરિવર્તનના નારા સાથે મેદાનમાં હતી. આ વર્ષે ગુજરાતની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM ની પણ એન્ટ્રી થઈ છે. આ બન્ને પાર્ટીએ પણ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા તો કર્યા છે પરંતુ જનતાના મનમાં શું છે તો ઇવીએમ ખોલ્યા બાદ જ ખ્યાલ આવશે. 


6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48.15% મતદાન નોંધાયું
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અત્યારસુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતું. સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું. સૌથી મોટી મહાનગર પાલિકા અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરમાં મતદાનની સરેરાશ 26.83%ની હતી, પરંતુ છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઊછળી 48.15% પર પહોંચી હતી. 


ક્યા કોર્પોરેશનની કેટલી બેઠક
અમદાવાદમાં સૌથી વધુ 192 કોર્પોરેશનની બેઠકો છે. અહીં કુલ 48 વોર્ડ છે. તો રાજકોટમાં 18 વોર્ડની 72 સીટો છે. જામનગરમાં 16 વોર્ડમાં 64, ભાવનગરમાં 13 વોર્ડમાં 52, વડોદરામાં 19 વોર્ડમાં 76 અને સુરતમાં 30 વોર્ડ છે જેમાં 120 સીટો છે. 


રાજકોટમાં 50.75 ટકા મતદાન
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગઇકાલે 18 વોર્ડમાં 50.75 ટકા મતદારોએ મતદાન કરી ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યુ છે. રાજકોટમાં આવતીકાલે સવારથી અલગ અલગ 6 જગ્યાએ મત ગણતરી શરૂ થશે. જેનું ચિત્ર બપોરના 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઇ જાય તેવી શકયતા છે. ભાજપના પ્રમુખ પાટીલની નવી પેટર્ન આ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોને તારશે કે ડૂબાડશે તેના પર ભાજપના સિનિયર નેતાઓ, આગેવાનો સહિત સૌ કોઇની મીટ મંડાયેલી છે.


રાજકોટમાં છ સ્થળો પર મતગણના
આવતીકાલે સવારથી મત ગણતરી શરૂ થવાની છે. જેમાં સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી થશે અને ત્યારબાદ શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મત ગણતરી શરૂ થશે. વોર્ડ નંબર 1થી 3 ની મત ગણતરી વીરબાઇ મહિલા કોલેજ ખાતે, વોર્ડ નંબર 4થી 6ની મત ગણતરી એ.એસ.ચૌધરી હાઇસ્કૂલ ખાતે, વોર્ડ નંબર 7થી 9ની મત ગણતરી એસ.વી.વિરાણી હાઇસ્કૂલ ખાતે, વોર્ડ નંબર 10થી 12ની મત ગણતરી એ.વી.પી.ટી.આઇ. ખાતે, વોર્ડ નંબર 13થી 15ની મત ગણતરી પી.ડી.માલવીયા કોલેજ ખાતે અને વોર્ડ નંબર 16થી 18ની મત ગણતરી રણછોડદાસજી કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી છે.


વડોદરામાં મતગણતરીની તૈયારી પૂર્ણ
વડોદરાના પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે. કોર્પોરેશન ચૂંટણીમાં 19 વોર્ડની 76 બેઠકોની મતગણતરી હાથ ધરાશે, 279 ઉમેદવારો મેદાનમાં છે. 23 ફેબ્રુઆરીએ સૌથી પહેલાં વોર્ડ 1, 4, 7, 10, 13, 16 ના પરિણામ આવશે. બીજા રાઉન્ડમાં વોર્ડ 2, 5, 8, 11, 14, 17 ના પરિણામ આવશે. ત્રીજા રાઉન્ડમાં વોર્ડ 3, 6, 9, 12, 15, અને 18ના પરિણામ આવશે. તબક્કાવાર વોર્ડ પ્રમાણે મતગણતરી, ચૂંટણી એજન્ટ અને ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. તમામ વોર્ડના મતગણતરી અને ચૂંટણી એજન્ટ, ઉમેદવારોને એકસાથે પ્રવેશ નહિ મળે. બે રૂમમાં 14 ટેબલ પર એકસાથે 14 ઈવીએમની મતગણતરી થશે, જેના માટે એક રિટર્નિંગ ઓફિસર, અને એક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિમાયા છે.


વોર્ડ પ્રમાણે કેટલા ટકા મતદાન થયું
વોર્ડ-1 માં 55.21 ટકા, વોર્ડ-2 માં 47.76 ટકા, વોર્ડ-3 માં 47.70 ટકા, વોર્ડ-4 માં 51.38 ટકા, વોર્ડ-5 માં 48.45 ટકા, વોર્ડ-6 માં 48.91 ટકા, વોર્ડ-7 માં 45.86 ટકા, વોર્ડ-8 માં 45.28 ટકા, વોર્ડ-9 માં 45.44 ટકા, વોર્ડ-10 માં 48.47 ટકા, વોર્ડ-11 માં 42.55 ટકા, વોર્ડ-12 માં 47.87 ટકા, વોર્ડ-13 માં 48.21 ટકા, વોર્ડ-14 માં 46.24 ટકા, વોર્ડ-15 માં 44.90 ટકા, વોર્ડ-16 માં 50.78 ટકા, વોર્ડ-17 માં 43.19 ટકા, વોર્ડ-18 માં 52.37 ટકા અને વોર્ડ-19 માં 49.60 ટકા મતદાન થયું છે.


વડોદરાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે
વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. સૌથી પહેલા વોર્ડ 1, 4, 7, 10, 13, 16 ના પરિણામ આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં વોર્ડ 2, 5, 8, 11, 14, 17 ના પરિણામ આવશે. ત્રીજા રાઉન્ડમાં વોર્ડ 3, 6, 9, 12, 15, અને 18ના પરિણામ આવશે.


અમદાવાદમાં આ જગ્યાએ થશે મતગણતરી
ગુજરાત કોલેજ ખાતે સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા વગેરે વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે.


એલ ડી એન્જીનિયર કોલેજ ખાતે 24 વોર્ડની ગણતરી કરવામાં આવશે. જેમાં થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ,હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લાંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર વગેરે વોર્ડનો સમાવેશ થાય છે.


સુરતમાં આ જગ્યાએ થશે મતગણતરી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બાદ હવે મતગણતરીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, 23 તારીખે 30 વોર્ડની 120 બેઠકો માટે ગણતરી થશે, ત્યારે બે અલગ અલગ સ્થળોએ થશે મત ગણતરી કરવામાં આવશે. ત્યારે ગાંધીજી એન્જિનિયરિંગ કોલેજમાં ખાતે વોર્ડ નંબર 2 3, 4, 5, 6, 7, 8, 12, 13, 16, 17 ,20, 23 અને 24 ની થશે મતગણતરી. ત્યારે પિપલોદ ખાતે આવેલા SVNIT ખાતે વોર્ડ નંબર 1, 9, 10, 11, 14, 15 , 18, 19, 21, 22, 25, 26, 27, 28, 29 અને 30ની મત ગણતરી થશે. આ બન્ને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ખુદ પોલીસ કમિશનરે અજય કુમાર તોમરે પણ બન્ને સ્થળોની મુલાકાત લીધી છે. બીજી તરફ ચૂંટણી અધિકારીઓએ પણ કામગીરી શરૂ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube