Gujarat Weather Forecast : રાજ્યમાં બિપોરજોયની અસર વર્તાવવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ નજીક આવી રહ્યુ છે. ત્યારે આ સંકટથી રાજ્યમાં ન આવે તે માટે ગીર સોમનાથનાં જૂના સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપરજોય વાવાઝોડુ 15 જૂને ગુજરાતના કચ્છના દરિયા કાંઠે ટકરાવાની સંભાવનાને જોતા સરકાર એક્શન મોડમાં આવી છે. જેમાં 9 જિલ્લાઓમાં મંત્રીઓને સ્ટેન્ડ બાય કરાયા છે. સાથે જ રાજ્યના દરિયા કાંઠાના જિલ્લાઓમાં પણ ચાંપતી નજર રાખવા સાથે ભારે પવનના કારણે સ્થિતિ બગડે તો એને પહોંચી વળવાની પણ તૈયારી કરી છે. ત્યારે આજે નવસારીની મુલાકાતે આવેલા નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે દાંડીના દરિયા કિનારાની મુલાકાત લીધી હતી. જ્યાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ સહિત જલાલપોરના મામલતદાર જીજ્ઞા પરમારે કાંઠાના ગામડાઓની સ્થિતિ વિશેની માહિતી આપી હતી. સાંસદ પાટીલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં. સી. આર. પાટીલે તંત્ર સાથે ભાજપી કાર્યકર્તાઓ પણ વાવાઝોડાની પરિસ્થિતિમાં કાંઠાના લોકોની પડખે રહે એવી અપીલ પણ કરી હતી.



સ્થળાંતરની વિગત:
જૂનાગઢ ૫૦૦, કચ્છ ૬૭૮૬, જામનગર ૧૫૦૦, પોરબંદર ૫૪૩, દ્વારકા ૪૮૨૦, ગીર સોમનાથ ૪૦૮, મોરબી ૨૦૦૦, રાજકોટ ૪૦૩૧. અત્યાર સુધી કુલ સ્થળાંતરનો આંકડો ૨૦૫૮૮ એ પહોંચ્યો. 



માળીયાહાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. સિદ્ધેશ્વર મહાદેવની લિંગને જળ અભિષેક થયો. ગઈકાલથી માળીયાહાટીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉદભવી છે. માળીયાહાટીનાની મેઘલ નદીમાં નવા નીર આવ્યા છે. મેઘલ નદીમાં નવા નીર આવતા લોકોના ટોળા નદી જોવા માટે ઉમટી પડ્યા હતા.



માળીયાહાટીનામાં હાલ એક મકાન ની દીવાલ પણ ધરાશાયી થઈ છે. પરંતુ હાલ કોઈ નાની મોટી જાન હાનિ થઈ નથી. તો સાથે જ  નાના મોટા વૃક્ષો પડી ગયા છે. તંત્રના અધિકારીઓ કર્મચારી ખડેપગે કામગીરી કરી રહ્યું છે. માળીયા હાટીના સરપંચ સવારથી ગામમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. 



હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 12 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું દૂર સ્થિર થયું છે. હાલ 300 કિમિ દૂર દરિયામાં સ્થિર થઈ ગયું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર વધુ ઓછું થયું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 280 કિમી દૂર. જખૌથી 310 કિમી દૂર અને નલિયાથી 330 કિમિ દૂર છે. હાલ પોરબંદરમાં વરસાદ નથી. 



સુરતમાં સુવાલીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. સુવાલીના દરિયામાં ઉછળી રહ્યા છે મોટા મોજાં... પવનનું જોર વધતાં 10થી 12 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા... હાલ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન... દુકાનો પર લગાવેલી તાડપત્રીઓ હવામાં ઉડી 



વાવાઝોડાંને પગલે ભાવનગર એરપોર્ટ ખાતે આજે મંગળવારના રોજ ચાર ફ્લાઈટ રદ કરવા આવી છે. જેમાં ભાવનગરથી પુના અને ભાવનગરથી બોમ્બ આવન-જાવન કરતી ચાર ફ્લાઈટને રદ કરવામાં આવી છે.


ભાવનગર જિલ્લાના મહુવાના ઉંચા કોટડાના દરિયામાંથી ઊંચા મોજા ઉછળતા એક ડોલ્ફીન માછલી દરિયામાંથી બહાર આવી ગઈ હતી. આ બાદ ગામના લોકોએ ડબમાં પાણી ભરી તેનો જીવ બચાવ્યો હતો. હાલ, દરિયા કિનારે કરંટ વધારે હોવાથી મોજા ઉછળી રહ્યા છે જેને લઈ આ માછલી બહાર આવી ગઈ હતી.