અતુલ તિવારી/અમદાવાદ :ગુજકેટની પરીક્ષા (gujcet exam) આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરાશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 1-1 એમ કુલ બે માર્ક તમામ વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય કરાયો છે. પ્રશ્નપત્ર સેટ નંબર 1 માં 44 મો અને 75 મો પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા તમામને બે માર્ક અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, બોર્ડ દ્વારા ગુજકેટ (gujcet) ની આન્સર કી જાહેર કરાઈ છે. ત્યારે જો આન્સર કી મામલે કોઇ રજૂઆત હોય તો તે 17 ઓગસ્ટ સુધી કરી શકાશે. પ્રશ્નદીઠ 500 રૂપિયા ભરીને ઇ-મેઇલના માધ્યમથી રજૂઆત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ડિગ્રી એન્જિનિયરીંગ તેમજ ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 


આ પણ વાંચો : વિદેશી ધરતી પર બનશે ભવ્ય જૈન મંદિર, એક હજાર વર્ષ સુધી સચવાય તેવુ હશે બાંધકામ  


એન્જિનિયરિંગના પ્રવેશ રજિસ્ટ્રેશનનો સમય વધારાયો
ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે ફરી એકવાર રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરાયો છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ 23 ઓગસ્ટ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ 14 ઓગસ્ટ ઓનલાઈન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ હતી. રાજ્યમાં આવેલી કુલ 64 હજાર જેટલી બેઠકો સામે અત્યાર સુધીમાં માત્ર 37,548 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. રજિસ્ટ્રેશનનો સમય પૂર્ણ થયા બાદ હવે 1 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. 9 સપ્ટેમ્બરે ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડમાં બેઠકની ફાળવણી 17 સપ્ટેમ્બરે જાહેર કરાશે. જો કે કુલ બેઠકોની સરખામણીમાં અડધું રજિસ્ટ્રેશન થતા સંચાલકો ચિંતિત બન્યા બન્યા છે. ખાનગી ડિપ્લોમા એન્જિનિયરીંગના સંચાલકો દ્વારા ગ્રેસિંગથી પણ જો 35 ટકા મેળવેલા વિદ્યાર્થીઓ હોય તો તેમને પણ પ્રવેશ આપવા માટે રજૂઆત કરાઈ છે. સંચાલકોની રજૂઆતના પગલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવે એ હેતુથી ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય સરકાર લે તો ગ્રેસિંગથી પણ ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓને ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ આપી શકાશે. 


આ પણ વાંચો : સ્પાઈડર મેનની જેમ વીજ પોલ પર ચઢી ગઈ ગુજરાતી મહિલા, જોતજોતમાં વાયરલ થયો વીડિયો 


ધોરણ-12 સાયન્સ બાદ એન્જિનિયરિંગના પ્રવેશની મુદત વધારાઈ 
ધોરણ 12 સાયન્સ બાદ ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત 22 ઓગસ્ટ સુધી વધારાઈ છે. આ સિવાય 12 સાયન્સ બાદ ફાર્મસીમાં પણ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની અવધિ 24 ઓગસ્ટથી વધારીને 1 સપ્ટેમ્બર કરાઈ છે. ગુજકેટનું પરિણામ જાહેર ન થયું હોવાથી રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ડિગ્રી એન્જિનિયરીંગની 62 હજાર જેટલી બેઠકો સામે માત્ર 24 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફાર્મસીમાં પ્રવેશ માટે 4 હજાર જેટલા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અગાઉ ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થતી હતી.