ગાંધીનગરઃ હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસ થયા છે ત્યારે મંગળવારે સાંજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1માં પાટીદારોની 6 સંસ્થાઓના નેતા અને રાજ્ય સરકાર તરફથી ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ અને કૌશિક પટેલ વચ્ચે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં હાર્દિકના ઉપવાસ આંદોલન પ્રમુખ મુદ્દો છે. હાર્દિકની આજે 11મા દિવસે તબિયત લથડી છે ત્યારે સરકાર મંગળવારે અચાનક સક્રિય થઈ છે અને હવે સરકારે વાટાઘાટો માટે હાથ લંબાવ્યો છે. સરકાર વચ્ચેનો રસ્તો શોધવા મથી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદારો તરફથી સી.કે. પટેલ, જેરામ પટેલસહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં 6 પાટીદાર સંસ્થાઓ 1. સીદસર ધામ, ઉમિયા માતાજી મંદિર,  2. ઊંઝા ઉમિયા માતા સંસ્થાન, 3. ખોડલધામ, કાગવડ રાજકોટ, 4. સુરત સમસ્ત પાટીદાર સમાજ, 5. સરદાર ધામ, અમદાવાદ, 6. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના નેતાઓ હાજર છે. હવે, સરકાર અને પાટીદારો હાર્દિકના ઉપવાસ મામલે વચલો માર્ગ શોધવા વાટાઘાટો ચલાવી રહ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, હાર્દિકના ઉપવાસ આંદોલનને ધીમે-ધીમે સમર્થન વધી રહ્યું છે અને હવે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ તેને મળવા આવવા લાગ્યા છે. મંગળવારે બપોરે ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા અને વર્તમાન નેતા શત્રુધ્ન સિંહા હાર્દિકને મળવા આવ્યા હતા અને તેમણે હાર્દિકના ઉપવાસ આંદોલન અને તેના મુદ્દાઓને સમર્થન આપ્યું હતું.