હિતલ પારેખ/ગાંધીનગર: મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કાળી ચૌદશ નિમિત્તે મહુડી દર્શને જતા દર્શનાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે રવિવારે કાળી ચૌદશને લઈ હવન યોજાશે. યાત્રાધામ મહુડી મંદીર ટ્રસ્ટ દ્વારા રવિવારે કાળી ચૌદશનું હવન બપોરે 12.30 શરૂ થશે. રવિવારે વહેલી સવારે 5.30 વાગે પ્રક્ષાલ વિધિ યોજાશે. સવારે 10 વાગ્યા બાદ વરખ પૂજા યોજાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ
મહત્વનું છે કે, કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મહુડી મંદિરનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે. વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે. મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આહુતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે. 


કાળી ચૌદશનો દિવસ મહુડીમાં ખાસ કેમ?
વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરી (દોરી) ની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે. આ પૂજા વિધી સમયે એકદમ નીરવ શાંતિ પ્રવર્તે છે.


આ દિવસે મંદિરમાં સુખડી બનાવવાનું એક ખાસ મહત્વ હોય છે. મહુડીની સુખડી પ્રખ્યાત છે, એટલુ જ નહિ, આ મંદિરની સુખડી બીજે ક્યાંય બહાર લઈ જઈ શકાતી નથી તેવી માન્યતા છે.