ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ ભરશિયાળે ચોમાસા જોવું વાતાવરણ ઊભું થયું છે. ત્યાં બીજી તરફ અમદાવાદ સહિત ગુજરાતમાં ઓરીએ આતંક ફેલાવ્યો છે. ખાસ કરીને અમદાવાદના દવાખાનાઓ ઓરીના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. બાળકો સૌથી વધી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન પણ ઘઢી કાઢવામાં આવ્યો છે. જે અંતર્ગત ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લાં 20 દિવસમાં 70 હજાર બાળકોને રસી આપવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લાં બે મહિનામાં અમદાવાદ શહેરમાં ઓરીના 300 કેસ નોંધાયા છે જ્યારે ચાલુ વર્ષે ઓરીના 436 કેસ નોંધાયા હતા. ઓરીને કંટ્રોલમાં લેવા મ્યુનિ.એ 20 દિવસમાં 70 હજાર બાળકોનું વેક્સિનેશન કર્યાનો દાવો કર્યો છે. તેમજ કેન્દ્રની ટીમની સૂચના પ્રમાણે બુસ્ટરડોઝ આપવાની પણ તૈયારી શરૂ કરી છે. જ્યારે પીડીયાટ્રીક એસોસિએશનની મદદથી 50 પ્રાઇવેટ ક્લિનીકમાં ઓરીની રસી નિશુલ્ક ઉપલબ્ધ કરાવાઇ હતી.


અમદાવાદ મનપાના જણાવ્યા અનુસાર, કેન્દ્રના આરોગ્ય વિભાગની ત્રણ સભ્યોની ટીમે પણ અમદાવાદના ઓરીગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને બુસ્ટર ડોઝ આપવાની સલાહ આપી હતી. ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા, સંકલિતનગર, સરખેજ,લાંભા, વટવા, જમલાપુર, દરિયાપુર, જુહાપુરા, ગોમતીપુરા, રખિયાલમાં નોંધાયા છે. તેમજ 20 સપ્ટેમ્બરથી આંગણવાડીમાં જવાની સાથે મમતા દિવસ ઉજવી 10 દિવસમાં 1થી 3 હજાર બાળકોનું રસીકરણ કરાયું હતું.


લક્ષણ દેખાતાં હોય તેવાં બાળકને આઇસોલેટ કરો સુચનાઃ
ઓરીના કેસો વધતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પરિપત્ર કરી સ્કૂલોને જાણ કરી છે કે, જે વિદ્યાર્થીમાં ઓરીના લક્ષણો જોવા મળે તેને તુરંત આઇસોલેટ કરવામાં આવે તેમજ તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવે. કારણ કે ઓરી ચેપી રોગ હોવાથી અન્યના સંપર્કમાં આવવાથી તુરંત જ ફેલાતો હોવાથી અધિકારીઓએ કાળજી રાખવાની સુચના આપી છે.