આશ્કા જાની/અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં ફરી એકવાર કોરોના (corona update) એ માથુ ઉચક્યુ છે. દિવાળી બાદથી કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. શું આવામાં સરકાર કડક નિયંત્રણો લાવશે તેવી મૂંઝવણ લોકોમાં છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ અને રાત્રિ કરફ્યૂ (night curfew) અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રિ કરફ્યૂ વધારવાનો હાલ કોઈ વિચાર નથી 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોરોનાના કેસ (corona case) નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. તેમાં કયા પ્રકારના વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું. રસીકરણ (vaccination) ના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી પડતી તે સારું છે. જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે, ત્યાં નિયંત્રણો કડક કરાશે. સાથે જ તેમણે કહ્યું કે, બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ ગુજરાતમાં કોઈ આયોજન નથી. રાત્રિ કરફ્યુ (curfew) અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય નિર્ણય નથી લેવાયો. રાત્રિ કરફ્યુ વધારવાનો હાલ કોઈ વિચારણા નથી. 


આ પણ વાંચો : ગુજરાતમાં આવ્યું બિહારરાજ : વડોદરામાં પ્રેમી યુવકને તાલિબાની સજા આપીને મારી નાંખ્યો  


દિવાળી પછી કેસ વધ્યા, પણ સ્થિતિ નિયંત્રણમાં 
બીજી તરફ, અમદાવાદ (Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે એ માટે શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા છે. ફરી એકવાર વધી રહેલા કોરોના કેસો મામલે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે, હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર 1 જ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે અને 4 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. દિવાળી સમયે જે ભીડ જોવા મળી ત્યારે કોરોનાના કેસો વધશે એવી આશંકા હતી. તેમાં પણ કોરોનાના કેસો વધ્યા પણ ખરા, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. હવે આગામી એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, જે લોકો બહાર ફરીને આવ્યા છે એમનું મોનીટરીંગ જરૂરી રહેશે. જે કેસો પણ અત્યારે આવે છે એવા કિસ્સાઓમાં અન્ય રાજ્યમાં ફરવા ગયા અને પરત ફરેલા લોકો વધારે છે.


તેમણે જણાવ્યું કે, શહેરમાં સારા પ્રમાણમાં વેકસીનેશન થયું છે એટલે હોસ્પિટલાઈઝેશન આ વખતે નથી જોવા મળી રહ્યું જે સારી વાત છે. સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. સિવિલમાં હાલ પણ 200 બેડ અલગથી કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. એ સિવાય તમામ જરૂરી દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. 


ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસમાં 84 કેસો નોંધાયા છે, જેમાં 13 નવેમ્બરે 10, 14 નવેમ્બરે 11, 15 નવેમ્બરે 15, 16 નવેમ્બરે 20, 17 નવેમ્બરે 28 કેસો નોંધાયા છે. શહેરમાં કેસો વધતા AMC ને સતત જુદા જુદા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કન્ટેઈમેન્ટ ઝોન બનાવવાની ફરજ પડી રહી છે.