નવનીત દલવાડી/ભાવનગર :શિયાળા (winter) ની ઠંડી ઋતુમાં પૌષ્ટિક આહાર અત્યંત જરૂરી છે. જેમાં તલનો આહાર ઉત્તમ ગણાય છે. સિંગ, તલ અને ગોળને પીસીને બનાવવામાં આવતા કચ્ચરીયું (સાની), શિંગપાક, તલપાક લોકોમાં અતિ પ્રિય હોય છે. હાલના આધુનિક યુગમાં તલને મશીનમાં પીસીને તેમાં ગોળ ઉમેરી તેમાં સૂકોમેવો અને ગુંદર સાથેનું કચરીયું બજારમાં વેચાણમાં જોવા મળે છે. ત્યારે હજુ પણ દેશી પદ્ધતિથી બનાવવામાં આવતું કચરીયું લોકોમાં એટલું જ પ્રિય છે અને જેને ખરીદવા લોકોની ભીડ ઉમટી પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની ઠંડી ઋતુમાં સિંગ-દાળિયા-તલની ચીકીની સાથે સાથે તલનું કચરીયું (winter food) પણ લોકોનું એટલું જ પ્રિય છે. ભાવનગર શહેરમાં અનેક લોકો શિયાળુ પાકના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા અને વારસાગત રીતે છેલ્લા 40 વર્ષથી લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી દેશી પદ્ધતિથી શિયાળુ પાક બનાવતા સુરેશભાઈ શિંગપાક વાળા પોતાના પરિવાર સાથે તમામ પાક પોતે જ બનાવે છે. પાક બનાવતા વખતે તેઓ સંપૂર્ણ રીતે સાફસફાઈ તેમજ ક્વોલિટીનું ધ્યાન રાખે છે. લોકોમાં ભાવનગરના સ્વાસ્થ્યપ્રદ સિંગપાક, તલપાક, સાની (કચરિયું) આજે પણ એટલા જ વખણાય છે. તલનું કચરીયું સામાન્ય રીતે બજારમાં અનેક દુકાનોમાં વેચાણ થાય છે. પરંતુ તેમાં મશીનમાં પીસી અને બનાવેલું કચરીયું બજારમાં જોવા મળે છે.



સિંગપાક બનાવતા રાજુભાઈ જમોડ કહે છે કે, દેશી પદ્ધતિ કે જેમાં તલ અને ગોળને મિક્ષ કરવા એક લાકડાનું ખાંડણીયુ તૈયાર કરવામાં આવે છે. જેને એક બળદ સાથે જોડી તેને એક કલાક સુધી પીસવામાં આવે છે. 10 કિલો તલ અને પાંચ કિલો ગોળને ખાંડણીયામાં મૂકી તેમજ બળદ સાથે તેને જોડી તેને ફરતે ફરવાનું હોય અને તેને ચક્કર ના ચડે તે માટે આંખે કાળી પટ્ટી બાંધી તેને ફેરવે છે. એક કલાક બાદ કચરીયું તૈયાર થઇ જાય છે. આ સ્વાદિષ્ટ કચરીયું જેમાં સફેદ તલનું 200 રૂ. કિલો તેમજ કાળા તલનું 240 રૂ.વેચાણ થાય છે.



રાજસ્થાનથી ગુજરાત આવી અને અનેક લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગ્રાહકો દેશી પધ્ધતિથી બનતા કચરીયાને પોતાની પ્રથમ પસંદ બનાવે છે. જેમાં તેમની નજર સામે જ આ કચરીયું તૈયાર થાય છે જેમાં તેમને કોઈ ભેળસેળની બીક નથી લાગતી. જેથી ગ્રાહકો પણ આ દેશી પદ્ધતિથી બનતા કચરીયાની ખરીદી કરે છે તેવુ સુરેશ રાજસ્થાનીએ જણાવ્યું.