ઝી બ્યૂરો, અમદાવાદઃ માવઠાની આગાહીઓની વચ્ચે આજથી વાતાવરણમાં પણ સતત પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાં ભાગોમાં આજથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે જ દ્વારિકાધિશના ધામમાં માવઠાએ દેખા દિધી હતી.  દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. જેમાં ખાસ કરીને ખંભાળિયા પંથકમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં ચણા, ધાણા, ઘઉં જેવો પાક તૈયાર થઈ ગયો છે. એવામાં તૈયાર પાક પર માવઠાના મારથી જગતનો તાત ચિંતાતૂર બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ અને દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની દશા બેઠી છે. ભુજમાં કેટલેક ઠેકાણે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજના સુખપરમાં ઝરમર કમોસમી વરસાદ થયો છે. બીજી તરફ કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કાળઝાળ ગરમી વચ્ચે પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે વીજળીના કડાકા-ફડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો.
નખત્રાણા,અબડાસા, માંડવી, મુન્દ્રામાં વરસાદ નોંધાયો છે. કેટલીક જગ્યાએ ઝરમર વરસાદથી પ્રસરી ઠંડક પ્રસરી છે. 


રાજકોટના ધોરાજીમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું. હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહી. ધોરાજી APMCમાં ખુલ્લામાં પડ્યો છે ખેડૂતોનો માલ. ઘઉં, ચણા, કપાસ, જણસી ખુલ્લા મેદાનમાં જોવા મળી. ખેડૂતોને માલ ખુલ્લામાં ન રાખવા APMCએ આપી સુચના. તાડપત્રીમાં માલ રાખવા ખેડૂતોને અપાઈ સુચના. જો વરસાદ પડશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતી. વરસાદ પડે તો કેરીના પાકને થઈ શકે છે મોટું નુકસાન. જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતાં ખેડૂતો ચિંતિંત છે.


અમદાવાદના વાતાવરણમાં પલટો જણાઈ રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. ગાંધીનગરમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ કાળા વાદળા છવાયેલાં જોવા મળ્યાં. આમ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બધી બાજુ કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


આગામી 4 દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે.


હવામાન વિભાગની આગાહી-
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે.