કેતન જોશી/અમદાવાદ :ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભારે પરેશાન થયા છે અને ખેડૂતોનો રોષ જોતા સરકારે સહાયની જાહેરાત પણ કરી છે. જોકે હજુ સુધી સહાય મેળવવા 60% થી ઓછી અરજી આવી છે, અને 25 ડિસેમ્બરથી સહાય ચૂકવવાની શરૂઆત પણ થઇ જશે. મળતી માહિતી મુજબ, આખા ગુજરાતમાં 56,35,961 ખેડૂત ખાતેદારો છે, અને અત્યાર સુધી આ પૈકી 17 લાખ ખેડૂતોએ જ સહાય માટેની અરજી કરી છે. જોકે સરકારને આશા છે કે, 30 લાખથી વધારે ખેડૂત ખાતેદારો અરજી કરી શકે તેમ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનું માનવું છે કે, ઘણા ખેડૂત ખાતેદારો ભૂલથી પણ અલગ અલગ જિલ્લામાં પોતાની નોંધણી કરાવી ચૂક્યા હશે એટલે આ વખતે આધારકાર્ડને પણ જોડવામાં આવ્યા છે અને આના કારણે ડુપ્લિકેશન થતું અટકી જશે. જિલ્લાવાર અત્યાર સુધી જે નોંધણી થઈ છે, તેમાં સૌથી વધુ નોંધણી દાહોદમાં 44% ઉપર થઇ છે. દાહોદમાં 42,770 અરજી આવી છે. સૌથી ઓછી અરજી ભરૂચમાં માત્ર 9% જ આવી છે અને તેની સંખ્યા 14,200 જેટલી થવા જાય છે. જોકે જ્યાં વધારે નુકસાન થયું હોઈ તે પ્રમાણે જ અરજી થયાનું સામે આવ્યું છે. 


જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો.... 


  • અમદાવાદ જિલ્લા 62,452 

  • અમરેલી 1,13,802 

  • આણંદ 66,012, 

  • અરવલ્લી 40,812 

  • બનાસકાંઠા 15,2119

  • ભાવનગર 79,542 

  • બોટાદ 36298, 

  • છોટાઉદેપુર 50,000 

  • ડાંગ 3,515

  • દેવભૂમિ દ્વારકા 28,878 

  • ગાંધીનગર 30,123 

  • ગીર-સોમનાથ 42,288 

  • જામનગર 54,690 

  • જૂનાગઢ 71,550 

  • કચ્છ 52,825 

  • ખેડા 55,860, 

  • મહેસાણા 60,795 

  • મહીસાગર 33,000 

  • મોરબી 41,915 

  • નર્મદા 12,027 

  • નવસારી 15,166 

  • પંચમહાલ 36,638 

  • પાટણ 63,997 

  • પોરબંદર 14,858 

  • રાજકોટ 94,469 

  • સાબરકાંઠા 52,266 

  • સુરત 33,532

  • સુરેન્દ્રનગર  95,637 

  • તાપી 15,917 

  • વડોદરા 63,327  

  • વલસાડ 21,808 


જ્યાં વધારે નુકસાન થયું છે ત્યાં હેક્ટર દીઠ 6800 રૂપિયા અપાશે અને અન્ય જગ્યાએ હેક્ટર દીઠ 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 25 ડિસેમ્બરે ગુજરાતના 9 શહેરોમાં સહાય ચૂકવણી થઇ જશે અને અત્યાર સુધી જે નોંધણી થઇ છે તેને રકમ એક સાથે આપી દેવાશે. રાજકોટમાં મુખ્યમંત્રી અધ્યક્ષતામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. સરકારને જરૂર લાગશે તો 31 ડિસેમ્બર પછી પણ સહાય અરજી કરવાની તારીખ વધારવામાં આવશે.


હજુ પણ 38 લાખથી વધારે ખેડૂતોએ સહાય માટે અરજી જ નથી કરી અને તેનું એક કારણ સહાય મેળવવા માટેની પ્રક્રિયા પણ છે. હાલ જે તીડનું આક્રમણ ઉત્તર ગુજરાતમાં થઇ રહ્યું છે તેનો સર્વે કરવા માટે પણ સરકારે નક્કી કર્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોને 3800 કરોડની સહાય ચૂકવવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતો અરજી કરવામાં હાલ તો ઉદાસીન રહ્યા છે. જોકે સરકારને આશા છે કે હજુ ઘણા ખેડૂતો આગામી દિવસોમાં અરજી કરી શકે છે અને સહાય મેળવવાનો ખેડૂતોનો આંક 30 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....