Ahmedabad Car Accident Case/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર બુધવારની મધરાતે ઉપરાઉપરી બે અકસ્માત સર્જાયા. પહેલો અકસ્માત જોવા ઉભા રહેલાં લોકોને પુરપાટ ઝડપે આવતી ગાડીએ કચડી નાંખ્યાં. આ ઘટનામાં ફરજ પરના બે પોલીસકર્મી સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટના બાદ તુરંત જ ગુજરાતના ગૃહરાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી. અકસ્માત અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુંકે, પુરપાટ ઝડપે કાર ચલાવી લોકોને મોતને ઘાટ ઉતારનારા આરોપી નબીરા તથ્ય પટેલને છોડવામાં નહીં આવે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપી બાપ-બેટાને કાયદાનું ભાન કરાવીશું.
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


મૃતકોના પરિવાર માટે સરકારે સહાયની જાહેર કરીઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતની ઘટના અંગે સહાયની જાહેરાત કરી છે. મૃતકોને 4 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે. સાથે જ મૃતકોના પરિવારો પ્રત્યે શોકની લાગણી પ્રગટ કરી છે.


હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારને સાંત્વના આપી:
આ ઘટનામાં એક હોમ ગાર્ડ જવાન એક કોસ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય કેટલાંક લોકોને આ ઘટનામાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. 



 


ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, અમદાવાદના એસજી હાઈવે પાસે ખુબ જ દુઃખદ ઘટના બની છે જેમાં 9 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરના એક યુવાન તથ્ય પ્રજ્ઞેશ પટેલ, જે ગોતા વિસ્તારમાં રહે છે. તે પોતાની મોજશોખમાં પોતાના અનેક મિત્રો જોડે ગાડીમાં જતા હતાં. જેણે રાહદારી માટે બનાવેલાં રોડ પર રેસિંગ ટ્રેકની ઝડપે ગાડી હકાવીને લોકોને કચડી નાંખ્યાં છે. મોટા ઘરના નબીરાએ ફરજ પરના ગુજરાત પોલીસના બે જવાનો અને ત્યાં હાજર અન્ય લોકો પર પુરપાટ ઝડપે ગાડી ચઢાવી દીધી. જેમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં બે પોલીસ જવાનો અને અન્ય યુવાનો હતાં. 


સમગ્ર ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આ ગોજારો અકસ્માત સર્જનાર આરોપી કાર ચાલક તથ્યની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરની પરવાનગી બાદ તુરંત તેમની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે. કાર ચાલકના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અનેક ગુનાઓમાં સંડોવણી રહી છે. પ્રજ્ઞેશ પટેલ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય નાગરિકો અને પોલીસને ધમકી આપવા અંગે કાર્યવાહી કરાશે. ગાડીમાં સવાર અન્ય યુવાનો ની પણ શોધખોળ કરાશે. કોન્સેટબલ ધર્મેન્દ્રસિંહ અને નીલેશભાઈ બે પોલીસકર્મીઓના નિધન થયા છે. 


 



 


અકસ્માતની ઘટના બાદ અધિકારીઓની તપાસ સમિતિ રચાઈઃ
ઘટનાની તપાસ માટે 5 પોલીસ ઈન્સપેક્ટર એટલેકે, પી.આઈ. ત્રણથી વધુ ડીસીપી, જોઈન્ટ પોલીસ કમિશ્નર અને ખુદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર પોતે આ અકસ્માતની ઘટનાનું નિરિક્ષણ કરશે. 


સરકાર તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે?
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આરટીઓનો રિપોર્ટ પાંચ વાગ્યા પહેલાં મળી જશે. કાલે સાંજ પહેલાં પીએમ અને એફએસએલનો રિપોર્ટ પણ આપશે. આ કેસમાં એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરાશે. સ્પેશિયલ પીપીની નિમણૂક કાલ સાંજ પહેલાં થશે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે.


રોડને રેસિંગ ટ્રેક માટે ઉપયોગ કરતા નબીરાઓને છોડવામાં નહીં આવે:
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આ કેસને મોસ્ટ સિવિયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીક કરવામાં આવશે. સીએમની સુચનાથી તમામ કામગીરી રા સાંજ પહેલાં થશે. એક વીકમાં ચાર્જશીટ પૂર્ણ કરીને બન્ને બાપ બેટાં જેમણે સામાન્ય પરિવારના ઘરની ખુશી છુનવી છે. પિતાએ દાદાગીરી કરીને લોકોને ધમકાવવામાં આવ્યાં છે. આ બન્ને બાપ બેટાંને કાયદાનું ભાન કરાવવામાં આવશે.


છેલ્લાં ચાર મહિનાથી રોડ સેફ્ટીની બેઠકોમાં એસજી હાઈવેમાં વધુમાં વધુ સેફ્ટી માટે કામગીરી થઈ રહી છે. બ્રિજ પર રંબલ કઈ રીતે લાગી શકે. સ્પીડ કઈ રીતે ઓછી થઈ શકે તે અંગે કામગીરી થઈ રહી છે. કામગીરી થઈ રહી છે તે પહેલાં જ આ ઘટના બની તે દુઃખદ બાબત છે. 


હું રાજ્યના દિકરા તરીકે સૌ પરિવારજનોને વિનંતી છે. માતા-પિતાને વિનંતી છે. તમે તમારા બાળકોને સમજાવો. રોડને રેસિંગ ટ્રેક તરીકે ન ચાલે તેની તકેદારી રાખવાની જવાબદારી માતા-પિતાની પણ છે. આજે બીજાના બાળકોના જીવ ગયા છે, કાલે તમારા બાળકોના જીવ પણ જઈ શકે છે. ભલે તમે મોંઘી ગાડીઓ લઈ આપો, પણ સંવેદનશીલ પણ બનો. બાળકોના મોજશોખ પુરા કરવાની સાથે માતા-પિતાએ જીવનની શીખ આપવી જોઈએ. જો માતા-પિતા બાળકોને શીખ નહીં આપે તો અમારે ચોક્કસથી તમારા બાળકોને શીખ આપવી પડશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, ડ્રીંક એન્ડ ડ્રાઈવની સંભાવના લાગતી નથી. હજુ રિપોર્ટમાં એવું આવ્યું નથી.