અમદાવાદમાં ફરીથી લઠ્ઠાકાંડે માથુ ઉંચક્યું હોય તેવી શક્યતા છે. અમદાવાદના વટવા વિસ્તારમાં બે યુવાનોના શંકાસ્પદ હાલમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બંને યુવકોના પરિવારજનોએ લઠ્ઠાકાંડ થયાનો આક્ષેપ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વમાં આવેલ વટવા વિસ્તારમાં ચુનારા વાસમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. બંને યુવકોના મૃતદેહ વટવાના બીબી તળાવ પાસે આવેલ રસ્તા પર એક રીક્ષા પાસે મૃત મળી આવ્યા હતા. બંનેના મોઢામાંથી સફેદ રંગનું ફીણ નીકળતુ હતું. બંને યુવકોને સારવાર મળે તે પહેલા જ તેમના મોત નિપજ્યા હતા. મૃત્યુ પામનાર યુવકો દાણીલીમડા વિસ્તારના હતા. જેમાં એકનું નામ ફિરોઝ હુસૈન (ઉંમર 28 વર્ષ) અને ઈન્ઝામુલ ઉર્ફે રાજા (ઉંમર 21 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોના પરિવારજનોએ લઠ્ઠાથી તેમના મોત થયા હોવાની શંકા સેવી છે.


બંને યુવકોના મોતથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એલજી હોસ્પિટલમાં તેમના મૃતદેહ લવાતા તેમના પરિવાજનો દોડી આવ્યા હતા. હાલ યુવકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. એક યુવકના મોબાઈલમાંથી મળેલ લાસ્ટ કોલના આધાર પર દારૂનો ધંધો કરતા એક વ્યક્તિની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 


આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. બંને યુવકોના મોત અંગે બપોર બાદ FSLના પ્રાથમિક રિપોર્ટમા ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે, રાજુ મદ્રાસી નામના યુવકે કેમિકલ દવા કે અન્ય કોઈ નશીલો પદાર્થ પીવડાવ્યો હતો. ફિરોજ અને રાજ બંને તેની પાસે ગત સાંજે ગયા હતા.  FSL રિપોર્ટ આવ્યા બાદ કયા કેમિકલથી મોત થયું તે સામે આવશે.