રાઘનપુર : રાધનપુર તાલુકાનાં મહેમદાવાદના નવાડા ગામની સીમમાં લગ્ન બાહ્ય સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. જુના પ્રેમ પ્રકરણમાં એક યુવાનની હત્યા થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે મળતી માહિતી અનુસાર મૃતક યુવાન પોતાની પરણીત પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. મુળ વડપગનો રહેવાસી યુવક પ્રેમીકાને મળવા માટે આવ્યો હોવાની જાણ તેનાં પતિને થતા તેણે પ્રેમીનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર  વડપગ ગામના રમેશભાઇ ચમનજી ઠાકોરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે સાંચે પાંચેક વાગ્યે ઘરે જતા સમયે ગામનાં પ્રવીણ ભાઇ ઠાકોરનો તેમના પર ફોન આવ્યો હતો. પ્રવીણભાઇએ કહ્યું કે, તેનો ભાઇ અમરત મહેમદાબાદ સીમમાં રેલ્વે ફાટક પાસે લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. જેને ગામના જમાઇ સુનીલ ઠાકોરે જ માર માર્યો છે. તેને તાત્કાલીક દવાખાને લઇ જાઓ.

જો કે તેઓ સીમમાં તપાસ કરતા ભાઇ નહી મળી આવતા ગાડી કરીને સુનીલને પુછવા ગયા હતા. જો કે સુનીલે તો સામાન્ય માર માર્યો હોવાનું તથા ત્યાર બાદ તે જતો રહ્યો હોવાનું કહેતા પરિવાર ફરી ઘરે પરત ફર્યો હતો. જો કે સવાર સુધી ભાઇ નહી આવતા ચિંતામાં ફરી તપાસ કરતા રેલ્વેનાં પાટા નજીકની બાવળની ઝાડીમાંથી અમરત ઠાકોરની લાશ મળી આવી હતી.