નિધિરેશ રાવલ, અંજાર: અંજાર તાલુકાના ખંભરા ગામમાં રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરીને આગ લગાડતા માતા અને બે પુત્રો ગંભીર રીતે દાજી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ ઘરમાં આગ લગાડવાથી નુકસાન પણ પહોંચ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાંભરાના રામદેવપીર વાસમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખર ઉંમર વર્ષ 51 રાત્રીના જમીને પોતે એક અલગ રૂમમાં સુવા ગયા હતા અને પત્ની અને બે પુત્રો ટીવીવાળા રૂમમાં સુતા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરીને ટીવી વાળા રૂમ તથા રસોડાના દરવાજામાં આગ લગાડી દેતા પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખરના પત્ની લખીબેન પુત્ર વિનોદ ઉંમર વર્ષ 27 અને નાનો દીકરો દિનેશ ઉંમર વર્ષ 22 ગંભીર રીતે દાજી ગયા હતા. 


108 એમ્બ્યુલન્સ બોલાવીને ત્રણેયને પ્રથમ અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજ રીફર કરવામાં આવ્યા હતા. પત્ની લખીબેનને મોઢા તથા ગરદનના ભાગે અને બંને હાથ દાઝી ગયા છે. દીકરા વિનોદને મોઢા તથા પીઠના ભાગે બંને હાથ અને ગરદનના ભાગે દાઝી ગયા છે. નાના દીકરાને મોઢું તથા બંને હાથ અને છાતી તેમજ સાથળના ભાગે દાઝી જતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ રાત્રિના બન્યો હતો અને કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં આગ લગાવી હતી.


આ અંગે પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખરે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ આગનો બનાવ બન્યો ત્યારે તેનો દીકરો વિનોદ રાડા રાડી કરીને બહાર આવ્યો તો ત્યાર પછી પ્રેમજીભાઈ ત્યાં જતા આગ લાગી હતી. ત્યાં પ્રથમ તેમણે પાણીથી ઘરમાં તેમજ દરવાજા ઉપર લાગેલી આગ ઓલવવાની કોશિશ કરી હતી અને ત્યાર પછી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સંભવત તેમણે ફરિયાદમાં બે વ્યક્તિઓ ઉપર શંકા વ્યક્ત કરી છે, હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube