અમદાવાદઃ જેમ જેમ કલાકો વિતતા જઈ રહ્યા છે તેમ તેમ પરિજનોની વ્યાકુળતા પણ વધી રહી છે. રાજકોટ હોસ્પિટલ બહાર દિવસ રાત પરિજનો પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ તમામની ધીરજ ખૂટી રહી છે. તંત્ર માટે હવે પડકાર જનક કામ મૃતદેહોની ઓળખ કરવાનું છે જુઓ આ રિપોર્ટ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ધીરજ ખૂટી રહી છે. ગૂમ થયેલા લોકોની સાચી માહિતી મેળવવા માટે પરિજનો વ્યાકુળ થઈ રહ્યા છે. રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટનામાં 28 જેટલા લોકોના મોત નીપજ્યા છે પરંતુ, હજુ 20થી વધુ મૃતદેહોનો કોઈ પત્તો નથી. DNA રિપોર્ટની રાહ જોઈ જોઈને પરિવારજનોની ધીરજ ખૂટી રહી છે અને હોસ્પિટલ બહાર વલખાં મારી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ગૂમ થયેલા લોકોના પરિવારજનોએ હોબાળો કર્યો હતો.


આ પણ વાંચોઃ આગકાંડના ઘેરા પ્રત્યાઘાત, રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી


અમેરિકાથી આવેલો પરિવાર પતિ-પત્ની અને સાળી ગૂમ થયા છે, હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. ગૂમ થયેલામાં ખ્યાતિ સાવલિયા અને અક્ષય ઢોલરિયા અને હરિતાબેન સાવલીયાનો સમાવેશ થાય છે તેમના 4 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પરિવારજનો વહીવટીતંત્રની મદદ લઇને પતિ-પત્ની અને સાળીને શોધી રહ્યાં છે. એક યુવતી પોતાના મિત્રની ભાળ મેળવવા માટે પોરબંદરથી આવી છે પરંતુ, તેમને નિરાશા હાથ લાગી..


આવા એક બે નહીં રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર આવા અસંખ્ય લોકો છે જે પોતાના સ્વજનના મૃતદેહ માટે વલખાં મારી રહ્યા છે. જોકે, પોલીસે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે 4 મૃતદેહના DNA સેમ્પલ મેચ થઈ જતાં 4ના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. બપોર બાદ વધુ 3 DNA સેમ્પલ મેચ થયા હતા. મૃતકોના પરિજનોને ત્રણ મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.. એટલે કે, કુલ 7 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ અમને સરકાર અને તેમની સિસ્ટમ પર ભરોસો નથી, અઢી વર્ષથી અધિકારીઓ ઉંઘતા હતાઃ HC


તો, બીજી તરફ ગાંધીનગરમાં FSL કચેરી ખાતે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ FSLની મુલાકાત લીધી હતી. FSLના 18 સભ્યોની ટીમ કામ કરી રહી હોવાનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. રાજકોટ અગ્નિકાંડને 3 દિવસથી પણ વધુનો સમય વિતિ ગયો છે. જોકે, આ ઘટનામાં મૃતકનો સાચો આંકડો હજુ પણ સામે નથી આવ્યો. કેટલાય એવા પરિવારો છે જેમને એ પણ ખ્યાલ નથી કે, તેમનું સ્વજન જીવે છે કે મૃત છે. આ પરિસ્થિતિ વચ્ચે પરિવારજનો સિવિલ હોસ્પિટલ બહાર આશા રાખીને બેઠા છે.