રાજકોટ : ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં મોટા પાયે કૌભાંડ કરાયું હોવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મગફળીમાં માટી છે કે માટીમાં મગફળી એ સમજવું આકરૂ થઇ રહ્યું છે. જેતપુર મગફળી કૌભાંડના મામલે છેવટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેકટર અને પોલીવ વડાએ વેરહાઉસમાં જઇ તપાસ કરતાં કૌભાંડ થયાની વાતને સમર્થન મળ્યું છે કે મગફળીમાં માટીના ઢેફા છે. તો હવે અહીં મોટો સવાલ એ સામે આવ્યો છે કે મગફળીમાં માટી આવી ક્યાંથી? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી. આ મગફળીનો જથ્યો વિવિધ ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે. ખરીદી સમયે પણ મોટા પાયે કૌભાંડની રાવ ઉઠી હતી પરંતુ એ સમયે યેનકેન પ્રકારે મામલો દબાવી દેવાયો હતો. જોકે હવે પાપ છાપરે ચડીને પોકારી રહ્યું હોય એમ મગફળીમાંથી મોટા પાયે માટીનો જથ્થો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. 


કલેકટર, એસપીએ તપાસ હાથ ધરી
જેતપુર ખાતેના ગોડાઉનમાં રાખેલ મગફળીમાં માટી હોવા અંગે એક વીડિયો વાયરલ થયો હતો. જે મામલો ચર્ચાસ્પદ બનતાં છેવટે આ મામલે ફરિયાદ નોંધાઇ છે અને રાજકોટ કલેકટર, જિલ્લા પોલીસ વડા ટીમ સાથે તપાસ કરવા આવ્યા છે અને જાત તપાસમાં પણ મગફળીમાં માટીના ઢેફા મળી આવતાં મામલો ગરમાયો છે. કલેકટર દ્વારા આ મામલે ગુરૂવારે ખુલાસો કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. 


માટીનો ખુલાસો કેવી રીતે થયો? 
નાફેડ દ્વારા ખરીદી કરાયેલ અને ગોડાઉનમાં રખાયેલ મગફળીનો જથ્થો વેપારીઓને વેચવાની પ્રક્રિયા હાથ ધરાતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું કહેવાય છે. મગફળીના જથ્થામાં મોટા પ્રમાણમાં માટી હોવાને લઇને વેપારીએ જ્યારે મગફળીનો જથ્થો ખરીદવા નનૈયો ભણતાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. 


મગફળીમાં માટી આવી ક્યાંથી?
ખેડૂતોનું કહેવું છે કે જ્યારે અમારી પાસેથી મગફળી ખરીદવામાં આવી ત્યારે તો જો સહેજ પણ માટી હોય તો મગફળી ખરીદવામાં આવતી ન હતી, આમ ખરીદી વખતે ચોખ્ખી મગફળી જ ખરીદવામાં આવી છે. જોકે ત્યાર બાદ જ મગફળીમાં માટી ભેળવાઇ હોવાની રાવ ઉઠી રહી છે. નાફેડના અધિકારીઓ, ગોડાઉન સંચાલકો સહિતની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 


મોટા નેતાઓના ઇશારે મોટું કૌભાંડ
ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, કોંગ્રેસ દ્વારા અગાઉ પણ આ મામલે રજૂઆત કરી હતી કે મગફળી ખરીદીમાં મોટા પાયે કૌભાંડ આચરાયું છે. ભાજપના જ કેટલાક મોટા માથાઓના ઇશારે કૌભાંડ કરાયું છે. જેને પગલે સરકાર દ્વારા યોગ્ય પગલાં પણ નથી લેવાયા, જો આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાશે.