કિરણસિંહ ગોહિલ, સુરત: સમગ્ર સુરત જિલ્લાના મહુવા, બારડોલી, માંડવી, માંગરોળ તાલુકામાં દીપડાનો આતંક છે. દીપડા દ્વારા પશુઓના મારણ કરવામાં આવી રહ્યું છે જ્યારે માંડવી તાલુકામાં નરભક્ષી દીપડાએ ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં પાતાલ ગામે ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું. દીપડાના હુમલા બાદ માંડવી વનવિભાગ હરકતમાં આવી સાસણ ગીરના નિષ્ણાતોની મદદ લઇ નરભક્ષી દીપડાને પાંજરે પૂર્યો હતો. અને ત્યાર બાદ દીપડાના હુમલા બંધ થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હવે વનમંત્રી ગણપતસિંહ વસાવના મત વિસ્તાર માંગરોળમાં દીપડાનો આતંક વધ્યો છે. બે દિવસ પહેલા દિણોદ ગામે બે બકરાનું દીપડા એ મારણ કર્યું હતું. જ્યારે દિણોદ ગામને અડીને ભરૂચ જિલ્લાની હદ શરૂ થાય છે અને ભરૂચ જિલ્લાના ભરણ ગામે પહેલા ગામની સીમમાં નરભક્ષી દીપડા એ કિશન વળવી નામના બાળકનું મારણ કર્યું હતું. 


ત્યારે બાદ હવે દીપડાઓ ગામની સીમ છોડી ગામમાં આદિવાસી 70 વર્ષીય વૃધ્ધા પર હુમલો કરતા વૃદ્ધાની આંખો બહાર આવી ગઈ છે. અને વૃધ્ધા અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. ત્યારે ભરણ ગામના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વનવિભાગની કામગીરીથી નારાજ છે. 


આ સાથે વનમંત્રી તાત્કાલિક પગલાં ભરે અને દીપડાને ઠાર મારે નહી તો ભરણ ગામમાં વન મંત્રીનો ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો દીપડાએ ફરી હુમલો કોઈ પર કર્યો તો ગ્રામજનો રોડ પર ઉતરી વનમંત્રીનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube