ઝી ન્યૂઝ/અમદાવાદ: દીપડા બાદ અમદાવાદ જિલ્લામાં સિંહની એન્ટ્રી થઈ ગઈ છે. ભાવનગરના વલ્લભીપુરમાં જોવા મળેલા સિંહનું લોકેશન બદલાયું છે. અમદાવાદ જિલ્લાના બાળિયારીના જંગલમાં સિંહ જોવા મળતા ખળભળાટ મચ્યો છે. બાવળિયારીમાં સિંહ જોવા મળતા ભાવનગર વનવિભાગે અમદાવાદ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ સિંહના પગમાં પહેલાથી GPS રેડિયો કોલર પહેરાવી દેવામાં આવ્યું હતું, GPS રેડિયો કોલરના આધારે આધારે સિંહ ક્યાં ક્યાં ફરી રહ્યો છે, તેનું સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગમાં બાવળિયારી નજીક સિંહનું લોકેશન જોવા મળ્યું હતું. સિંહનું લોકેશન મળતા વન વિભાગે ગ્રામજનોને સચેત કર્યા છે. લોકોને સિંહથી દૂર રહેવા અને કોઈ જાતની કનડગત ના કરવા અપીલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હવે ધીમેધીમે સરકારના પ્રયત્નોથી ગીરના સિંહનો વ્યાપ વધી રહ્યો છે. હવે અમદાવાદથી માત્ર 140 કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે. આ સિંહને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યું હોવાથી જંગલ ખાતાના અધિકારીઓ તેની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લે તે ભાવનગર જિલ્લામાં આવેલા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કથી પાંચ કિમી દુર ગત સપ્તાહે નજરે પડ્યો હતો. એવુ લાગે છે કે સિંહે આ વિસ્તારને ઘર બનાવી દીધુ છે.


અમરેલીથી 75 થી 100 કિમી દુર નજરે પડેલા ત્રણ સિંહોના ગ્રુપનો જ આ સિંહ સભ્ય હોવાનુ પણ મનાઈ રહ્યુ છે. જંગલ ખાતાના અધિકારીઓનુ કહેવુ છે કે, અમે તેને અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં નહીં પહોંચવા દેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જો આ સિંહ અમદાવાદ જિલ્લાની નજીક પહોંચ્યો તો તેને અમે તેના મૂળ વિસ્તાર તરફ ડાયવર્ટ કરીશું. જણાવી દઈએ કે સિંહોના અભ્યારણ્ય સિવાયના વિસ્તારોમાં સિંહ દેખાવાની ઘટના છેલ્લા બે વર્ષથી વધી ગઈ છે.


ગાંધીનગર સ્થિત વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિંહને રેડિયો કોલર પહેરાવી દેવાયો છે અને સાસણ તેમજ ગાંધીનગરના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. આ સિંહ અમદાવાદ જિલ્લા તરફ ના જાય તે અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ. જો તે અમદાવાદ તરફ જતો દેખાશે તો અમે તેને ફરીથી આ એરિયા તરફ વાળી દઈશું. જંગલનો રાજા પોતાના હદ વિસ્તારી રહ્યો છે અને અમદાવાદ શહેરની નજીક પહોંચી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube