Iskon Accident: ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે 3થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સમગ્ર ઘટનામાં નબીરાના પિતા અને વકીલે મીડિયા સમક્ષ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. નબિરા તથ્ય પટેલના પિતા અને વકીલે માનવતા નેવે મુકી દીધી હોય તેમ બેફામ નિવેદનબાજી કરી છે. બીજી બાજુ આરોપી તથ્ય પટેલની સામે માનવવધનો ગુનો નોંધાયો છે. ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તથ્યની પોલીસ ધરપકડ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. આ દરમિયાન એક જગુઆર કાર ચાલકે લોકોને અડફેટે લેતા એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના થયા છે. રાત્રે એક વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે જગુઆર કારે લોકોને અડફેટે લઈ લીધા હતા. 



આરોપીના પિતાનો બચાવ
નબિરાના પિતા પ્રજ્ઞેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તથ્ય રાત્રે ઘરેથી 11 વાગ્યે કેફેમાં જવા માટે નીકળો હતો, અકસ્માત સમયે કારમાં તેની સાથે મિત્રો હતો. જેમાં બે-ત્રણ યુવતીઓ હતી. ઘટનાની જાણ થતાં હું ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને ટોળાએ ઢોર માર માર્યો હતો, એટલે હું તેને ત્યાંથી લઈને નીકળી ગયો હતો. માથા અને મોંમાથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. કોર્ટ જે કહેશે તે હું કરવા માટે તૈયાર છું. જે કાયદાકીય કાર્યવાહી થતી હતી તેમાં પુરતો સહકાર આપીશું. આ કાર મારા ભાગીદારના નામે હતી.



તથ્ય પટેલના વકીલે શું કહ્યું?
નબિરાના પિતા પ્રજ્ઞેશ પટેલની જેમ તેમના વકીલે પણ આંટીઘૂંટીવાળું નિવેદન આપ્યું છે. આરોપીના વકીલે નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમણે કહ્યું કે, આ જગ્યાએ અગાઉથી જ ટ્રક અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. તેને હટાવવા માટે કોઇ પગલા લેવાયા નહોતા. કોઇ બેરિયર પણ મૂકાયા ન હતા. અકસ્માત એક એવી વસ્તુ છે. જે અજાણતા થતી ઘટના છે. જેને જ અકસ્માત કહેવાય છે, કોઈ વ્યક્તિ ઘરેથી નીકળે એટલે અકસ્માત કરવાનો કોઈને ઈરાદો હોતો નથી, અકસ્માત પોલીસથી પણ થાય અને વકીલથી પણ થાય.  તેમણે જણાવ્યું હતું કે, કારની 165ની સ્પીડ પણ નહોતી. લાઇવ રોડની વચ્ચે થાર અને ટ્રક અકસ્માત થયો હતો. જ્યાં સો-દોઢસો જણાંનું ટોળું ભેગું થયું હતું. અમે કાયદાનું પાલન કરીશું અને કાયદામાં રહીને આ મુદ્દે તપાસ થશે તે સાચુ હશે સામે આવશે.