અમદાવાદ : દેશ અને દુનિયામાં તબાહી મચાવી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ને કાબૂમાં રાખવા માટે સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સમયમાં તંત્ર અને વડાપ્રધાન સુદ્ધાં વારંવાર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવે છે પણ અમુક બેદરકાર લોકો કોઈ વાતને સમજવા તૈયાર નથી. જો લોકડાઉન પછી પણ દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વણસી જશે તો એના માટે આ વર્ગ જ જવાબદાર હશે. હાલમાં લોકોની બેદરકારીનો આવો અનુભવ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં વટવા વિસ્તારમાં હેર કટીંગ સલૂનમાં દસ લોકો વાળ કપાવવા ભેગા થયા હતા, પોલીસ આવી જતાં દોડધામ મચી જવા પામી હતી, પોલીસે ૧૦ યુવકોને પકડીને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 


વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે યાકુતપુરામાં આખો દિવસ એક લારી પર ઉસળ-પાંઉ અને ગરમાગરમ ભજીયાનો ધંધો જાહેરમાં ધમધોકાર ચાલે છે. યાકુતપુરાનો આ કિસ્સો મીડિયામાં પ્રકાશમાં આવતા જ પોલીસે કડક પગલાં ભર્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ લારી ચલાવનાર શખ્સ ઇરફાન શેખ સામે જાહેરનામાનો ભંગ અને લોકડાઉન ભંગનો ગુના નોંધીને તેની ધપકડ કરી છે. ઇરફાને લોકડાઉન વખતે પણ લારી ચાલુ રાખી હતી એટલે આ પગલું ભરવામાં આવ્યું છે. 


હાલમાં સુરતનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકડાઉનમાં પણ રાંદેરની આલુપુરી અને ફેમસ વાનગીઓ ખાવા માટે લાઈનો લગાવી હતી. આ મામલામાં રાંદેર પોલીસે લારીના માલિકની ધરપકડ કરી હતી કારણ કે લારી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનો ભંગ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube