એકબાજુ જ્યાં પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં ભારે ઘટાડાથી રાજકીય પક્ષોની ચિંતા વધી છે. તેમાં પણ ખાસ કરીને ભાજપની ત્યાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે જે રીતે ક્ષત્રિયોએ બાંયો ચડાવી છે તે જોતા હવે વિરોધ ધીરે ધીરે આકરું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગે છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. જે ભાજપના વિરોધમાં ફેરવાય તો પણ નવાઈ નથી. રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયેલો છે. ત્યારે આ બધા વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું પરશોત્તમ રૂપાલાએ?
જસદણમાં જે જાહેર સભા યોજાઈ તેમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર રાજપૂત સમાજની માફી માંગી. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની સમજદારી માટે તેમને વંદન કરું છું  તેમને ધન્યવાદ આપું છું. મારે ક્ષત્રિય સમાજના રાજ્યના બધા આગેવાનોને આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી તો મે કરી અને એની મે જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નહતો. સમાજની વચ્ચે જઈને મે માફી માંગી અને સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શાં માટે? ક્ષત્રિયસમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો, આ રાષ્ટ્રના ઘડતરમાં તમારું કેટલું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસમાં તમારું કેટલું મોટું યોગદાન છે. નરેન્દ્ર મોદી જેવા 18 કલાક કામ કરનારા વડાપ્રધાન મળ્યા છે.તેમણે  ક્ષત્રિય સમાજને માફી આપીને જીતમાં ભાગીદાર  બનવાની અપીલ પણ કરી. 



અત્રે જણાવવાનું કે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ અંગે અપાયેલા વિવાદિત નિવેદનને લઈને 23 માર્ચથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. ક્ષત્રિય સમાજે તો રૂપાલાની ટિકિટ કાપવાની માગણી કરી હતી પરંતુ ભાજપે ટિકિટ પાછી ખેંચી નહીં. નામાંકન પ્રક્રિયા પૂરી થયા બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ તરફથી ધર્મ રથ રવાના કરાઈ રહ્યા છે. ઠેર ઠેર સંમેલનો કરાઈ રહ્યા છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનની પરિણામો પર કેવી અસર પડશે તે તો આવનારો સમય જ કહેશે. 


ધર્મ રથને મળતા પ્રતિસાદ પર પોલીસ રેકોર્ડ?
પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરુદ્ધમાં ક્ષત્રિયોનું જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેમાં બુધવારે માતાના મઢથી રવાના કરાયેલા ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ કાર્યક્રમમાં ક્ષત્રિયો સિવાય કોણે કોણે સમર્થન આપ્યું તેને કેવો પ્રતિસાદ મળ્યો તે અંગેની વિગતો આપવા માટે તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓને પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ મહાનીરિક્ષકની કચેરીથી પત્ર ફરતો થયો છે. જેમાં લખ્યું છે કે 24 એપ્રિલથી 26 એપ્રિલ વચ્ચે સમગ્ર કચ્છમાં ફરનારા આ ધર્મરથની વિગતો કચેરીને મોકલવા સૂચના અપાઈ છે.