તેજસ દવે/મહેસાણા : બહુચરાજી મંદિરે આજે રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો હતો. 347 વર્ષથી શરૂ થયેલી રસ રોટલી પ્રસાદની પરંપરા આજે પણ જાળવી રાખી છે. આજે બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો છે. આ રસ રોટલીનો પ્રસાદ સાંજે માઇભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. આનંદના ગરબા મંડળ દ્વારા પણ સાંજે રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ શિયાળામાં બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. મા બહુચરના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતા બહુચરે ભર શિયાળે જ્ઞાતિ ભોજન કરાવ્યું હતું. ત્યારે આ 347 વર્ષ અગાઉની શ્રદ્ધા આજે પણ બહુચરાજી મંદિરે માગશર સુદ બીજના દિવસે જાળવી રાખવામાં આવી છે. આનંદ ગરબા મંડળ દ્વારા માગશર સુદ બીજના દિવસે સાંજે મા બહુચરને પ્રસાદ ધરાવી માઇભક્તોને આપવામાં આવે છે. જોકે આજે માગશર સુદ બીજના દિવસે બહુચરાજી મંદિર દ્વારા પ્રથમવાર રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો હતો. 





કેવી રીતે પડી પરંપરા
આ પરંપરાને એક ચમત્કારિક પરંપરા કહેવાય છે. 347 વર્ષ પહેલા બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, મારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે, માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. આ સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. આ દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી. બસ, ત્યારથી આ પરંપરા પડી.


આ પરંપરાને આજે પણ બહુચરાજી મંદિર દ્વારા અનુસરવામાં આવે છે. ભરશિયાળે માતાજીને કેરીના રસ અને રોટલીનો પ્રસાદ ચઢાવાય છે. સંધ્યા આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે.