Rupala Controversy: પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક મળી હતી. પરંતુ હાલ રૂપાલાની મુસીબત વધી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજપૂત સમાજ દ્વારા ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી અને સમાધાન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી, પણ રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી.


મહત્વનું છે કે, ગઈકાલે પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં સમાજના આગેવાનોને બોલાવી રૂપાલાના વિવાદ માટે સમાજના સંકલન સમિતિ સાથે બેઠક કરવા જણાવ્યું હતું. સંકલન સમિતિની કોર કમિટી હાજર હતી. આ મીટિંગ બાદ ભાજપના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, અમે કમિટી સમક્ષ વાત કરી છે કે રૂપાલાએ 2 વાર માફી માંગી, 2 વાર સમાચાર પત્રમાં ક્ષત્રિયોની માફી માંગી છે, તો મોટું મન રાખીને માફ કરવા આહ્વાન કર્યું. અમે બધાને સાંભળ્યા બધાએ કહ્યું કે રૂપાલાને ખસેડી લે એના સિવાય અમને કઈ મંજૂર નથી. અમારી હાજરીમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીએ સર્વાનું મતે જણાવ્યું માફી મંજૂર નથી. આ સાથે જ હવે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલાની મુસીબત વધી ગઈ છે. ક્ષત્રિયો સમાજે ચોખ્ખું કહી દીધું છે કે રૂપાલાને માફી નહિ મળે, ટિકીટ કાપવામાં આવે. હવે પાર્ટી અંતિમ નિર્ણય કરશે. 


રાજપૂત સમાજ આગેવાનોનું સંબોધન
ભાજપ આગેવાનોનું પ્રેસ સંબોધન પત્યા બાદ બીજી તરફ ઉપર હોલમાં રાજપૂત સમાજ આગેવાનોએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂપાલાના બદલાવ સિવાય અમને કઈ નહીં ચાલે. ફક્ત ગુજરાતનો નહીં પણ ભારત દેશનો ક્ષત્રિય સમાજ રૂપાલાને નહીં સ્વીકારે. ભાજપ ઉમેદવાર બદલે એનાથી ઓછું અમને નહીં ચાલે. જે નૈતિક અધઃપતન થયું એ સ્વીકાર્યું નથી. અમે તમામ સમાજને આહવાન કરીએ છીએ કે દેશનું જાહેર જીવન જળવાય. આઝાદી પહેલાના અને આઝાદી સમયના બલિદાનનું અપમાન સ્વીકાર્ય નથી. અમે ભાજપ આગેવાનો સાથે શાંતિપૂર્ણ વાત કરી છે, અમારી માંગણી એક જ છે. 


રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણ સિંહ ચાવડાનું નિવેદન
આજે ભાજપના નેતાઓ સાથે સમાજના સાત આગેવોની બેઠક હતી. લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા હોય છે. ગુજરાત સરકાર અને ભાજપ તરફથી કેટલીક વાત અમે રાજપૂત સમાજ સમક્ષ વ્યક્ત કરવા આવ્યા હતા. અમારા તમામ સંગઠનો વતી અમે એમને વાત કરી. અમે સમગ્ર ક્ષત્રિય સમાજ તરફથી એક જ વાત કરી કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવા સિવાય કોઈ વાત નહીં થાય. પહેલા પણ આજ વલણ હતું, હમણાં પણ આજ છે અને આગળ પણ આજ રહેશે. આગળના સમયમાં દેખાવો ચાલુ જ રહેશે. તમારા હાઇકમાન્ડને જણાવજો કે ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયોને દેશમાં 22 કરોડ ક્ષત્રિય છે. રૂપાલા મહત્વના છે કે અન્યોએ નક્કી કરજો. આ બેઠક છેલ્લી બેઠક હતી. 


આ સાથે જ ક્ષત્રિયોની કમિટી બેઠકે આવતીકાલે સાંજે ૫ વાગ્યા સુધીનો સમય માંગ્યો છે. રૂપાલા મામલે હવે કોઈ બેઠક નહીં થાય. સમાજની કેટલીક માતા બહેનોએ જોહર કરવાની વાત કરી હતી, પણ એવું કરવાની જરૂર નહીં પડે. સમાજ એક જ છે અને રહેશે. અમારા તરફથી યુદ્ધનું મેદાન હવે ફક્ત રાજકોટ નહીં પણ બધે જ રહેશે. આ આંદોલન ફક્ત રૂપાલા સામે છે. જો ઉમેદવાર નહીં બદલાય તો રાજ્યની 26 બેઠકો ઉપર તેની અસર થશે. અમારા 400 જ્ઞાતિજનો રાજકોટ સહીત તમામ બેઠકો પર અપક્ષ ઉમેદવારી કરશે. આગામી સમયમાં વધુ રણનીતિ સાથે આગળ વધીશું.