ઝી બ્યૂરો, મહેસાણાઃ લગ્નની રાહ જોઈને બેઠેલાં યુગલો માટે આ સમાચાર ખાસ છે. લગ્ન એક નવા જીવનની શરૂઆત હોય છે. ત્યારે લગ્નની વિધિ માટે પણ ખાસ દિવસ, ખાસ સમય અને ખાસ ચોઘડિયું જોવામાં આવે છે. 4 મહિના બાદ ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. જેને કારણે લગ્નવાંચ્છુક યુગલોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાર્તુમાસમાં વિરામમાં આવેલી લગ્નસરા આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહથી (દેવઉઠી અગિયારસ) થી ફરી શરૂ થશે. લગભગ 4 મહિના બાદ જિલ્લામાં 16 નવેમ્બરથી ફરી લગ્નની શરણાઇઓ ગૂંજશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ 14 શુભ મુહૂર્તમાં જિલ્લામાં 700થી વધુ લગ્ન થવાનો અંદાજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષમાં ધનારક કમુરતાં, શુક્ર અને ગુરૂ ગ્રહનો અસ્ત-
જ્યોતિષશાસ્ત્ર મુજબ, ધનારક કમુરતાં તેમજ શુક્ર અને ગુરૂ ગ્રહની અસ્તની સ્થિતિમાં લગ્ન લઇ શકાતાં નથી. જે મુજબ 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2022 સુધી સૂર્ય ધન રાશિમાં રહેતાં ધનારક કમુરતાં રહેશે. આ દરમિયાન તા.5 થી 12 જાન્યુઆરી સુધી શુક્ર ગ્રહ અસ્તનો રહેશે. જ્યારે તા.21 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી ગુરૂ ગ્રહ પણ અસ્તનો થતો હોઇ 2022માં બે મહિના લગ્નની સિઝનને બ્રેક લાગશે.


નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના લગ્નના મુહૂર્ત-
નવેમ્બર : તા. 16, 20, 21, 22, 26, 28, 29 અને 30
ડિસેમ્બર : તા.1, 7, 9, 11, 13 અને 14


તુલસી વિવાહથી શરૂ થતી લગ્નની સિઝનમાં નવેમ્બરમાં 8 અને ડિસેમ્બરમાં 6 મળી કુલ 14 શુભ મુહૂર્ત રહેશે. 400 લોકોની મર્યાદા સાથે શરૂ થતી લગ્નસરાની આ સિઝનમાં લોકો ઘરઆંગણે જ લગ્ન પ્રસંગ યોજવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનામાં મોકૂફ રહેલા લગ્નો પણ આ સિઝનમાં હાથ ધરાયા છે. બીજી બાજુ પાર્ટી પ્લોટોના સંચાલકોના જણાવ્યા અનુસાર, પાર્ટી પ્લોટોમાં આયોજિત મોટાભાગના લગ્નોમાં 600થી વધુ મહેમાનોની સંખ્યા રહેતી હોય છે.


ગત વર્ષે કોરોનાના કારણે ઠપ રહેલું બુકિંગ 50 ટકા સુધી પહોંચ્યું છે. સરકાર લગ્ન પ્રસંગમાં આવતાં મહેમાનોની સંખ્યાની મર્યાદા વધારે તો હજુ બુકિંગ વધે તેવી આશા છે. જ્યારે કેટરિંગના વ્યવસાયકારોએ જણાવ્યું કે, 100 લોકોની મર્યાદા વધારી 400 લોકોની કરાઇ છે, જેને લઇ આ સિઝનમાં ગત વર્ષની સરખામણીએ 60 ટકા વ્યવસાય થવાનો અંદાજ છે.