ઝી મીડિયા/બ્યૂરો :આપણી સામે અનેકવાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા (superstition) ગણે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં કચ્છમાં બની છે. કચ્છના અંજારમાં એક મંદિરમાં 75 વર્ષ જૂનો શીરો મળી આવ્યો છે. જે 75 વર્ષના વહાણા વીતી ગયા બાદ આજે પણ તાજો છે. આ ઘટનાથી અંજારવાસીઓ ચમત્કાર (Miracle) ગણાવી રહ્યા છે અને ભગવાનનની પ્રસાદી કહી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંજાર તાલુકાના ખેડાઈ ગામના પટેલવાસમાં લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર સૌથી પહેલા 1945 માં બનાવવામાં આવ્યુ હતું. પરંતુ કચ્છના ભૂકંપમાં મંદિર જર્જરિત થઈ ગયુ હતું. તેના બાદ હાલ મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરનું શિખર બદલવાની કામગીરી કરવાની હતી. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં એક હવનનું આયોજન કરાયુ હતું. જેના બાદ શિખરના ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો. 


આ કળશ જોઈને જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે કળશમાં શીરો મૂકવામાં આવ્યો હતો, તે 75 વર્ષના વહાણા વિત્યા બાદ પણ તાજો મળી આવ્યો છે. જાણે ગઈકાલે જ બનાવ્યો હોય તેમ શીરામાંથી ચોખ્ખા ઘીની સુગંધ આવતી હતી. શીરામાં કોઈ પ્રકારના બગાડ થયો ન હતો. જેથી લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી છે. 



કળશ ઉતારતા સમયે જે કુંભ મળ્યો તેમાં તાંબાનો એક સિક્કો પણ મળી આવ્યો છે. જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. જેને ખોલતા તેમાં શીરો મૂકાયેલો હતો. ભક્તોએ શીરાના પ્રસાદને ફરીથી મંદિરમાં ધર્યો હતો. 


હાલ અંજારના ભક્તો આ ચમત્કારને નજરોનજર જોઈ શકે તે માટે શીરાને સાચવવામાં આવ્યો છે. આ અદભૂત ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે તેવુ ખેડોઈના પાટીદાર સનાતન સમાજના પ્રમુખ અંબાલાલભાઈ છાભૈયાએ જણાવ્યું.