અમદાવાદ: વીએસ હોસ્પિટલમાં મહિલાના મૃતદેહ બદલાઇ જવાના મામલો ગરમાયો છે. વીએસ હોસ્પિટલની બેદરકારી સામે આવતા અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. અધિકારીઓની ટીમ ધોલેરા પહોંચી હતી. જ્યાં નસરીનબાનુના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો. કબર ખોદીને નસરીનબાનુનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને અમદાવાદ વીએસ હોસ્પિટલમાં લઇ જવાયો. ઓળખવિધિ બાદ પરિવારને સોંપાશે. આ બાજુ જે મિતલની ડેડબોડી છે તેને ધોલેરા મોકલવામાં આવશે. જો કે આ સમગ્ર કેસમાં એક વાત ઊડીને આંખે વળગે છે કે મિત્તલના પરિજનોએ પણ મિત્તલનો મૃતદેહ કેમ ન ઓળખ્યો? મિત્તલના પિતા અને અન્ય  એક વ્યક્તિએ આ અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VS હોસ્પિટલમાં 2 મહિલાઓની લાશની અદલાબદલી: નસરીનનો મૃતદેહ કબરમાંથી કાઢી પરિવારને સોંપાયો


જાણો શું કહ્યું મિત્તલના પિતાએ અને અન્ય સંબંધીએ?
મિત્તલના પિતાએ આ મામલે કહ્યું કે "મને એકને જ ડેડબોડી બતાવી હતી. હું એક જ હાજર હતો. સાહેબે અમને બેસવાનું કહ્યું. તેમણે કહ્યું કે બોડી પેક કરી આપીએ છીએ. એમના માણસોએ બોડી એમ્બ્યુલન્સમાં મૂકી દીધી. તેમણે કહ્યું કે પહેલા મોઢું બતાવ્યું હતું. ત્યારે મિત્તલ જ હતી. પછી શું થયું તેની કઈં ખબર નથી. તેમના માણસોએ બેસવાનું કહીને એમ્બ્યુલન્સમાં બોડી મૂકી દીધી. બધા અમે બેભાન જેવી અવસ્થામાં હતાં. મારા ઘરનાએ ખાલી મોઢું ખોલીને હળદર લગાવીને ફૂલ સાથે અમારી વિધિ મુજબ ક્રિયા કરી." મિત્તલના પિતાના નિવેદન પરથી એવું લાગે છે કે કદાચ પરિવાર આઘાતમાં હોવાના કારણે મિત્તલના મૃતદેહની જગ્યાએ કોઈ અન્ય મહિલાનો મૃતદેહ છે તેવું જાણી શક્યા નહીં હોય. 


આ બાજુ મિત્તલના અન્ય સંબંધીએ કહ્યું કે, "વિધિમાં એવું હોય છે કે ઘરે જઈને બૈરા લોકો ચેક કરે. પછી મૃતદેહનું મોઢું ઢાંકી દેવામાં આવે. જે પરિવાર પીડિત છે, રડી રહ્યાં છે, કકળાટ કરી રહ્યાં છે. જેમની દીકરી ગઈ છે. તો એ લોકોને તો શું...એ લોકોને કેવી રીતે ખબર હોય. મિત્તલનું બોડી બે દિવસથી અહીં છે. અમારી મિત્તલ જ છે. એ લોકોને બધાને એમ જ હોય કે અમારી મિત્તલ જ છે. એ લોકોને ખાતરી છે કે આ મિત્તલ જ હોય. કાર્યવાહી પોલીસ, પ્રશાસન અને હોસ્પિટલ સામે થવી જોઈએ. બેદરકારીભર્યું તંત્ર છે." 


વીએસની ઘોર બેદરકારી: નસરીનનો મૃતદેહ મિત્તલના પરિજનોને અપાઈ ગયો, દફનવિધિ પણ થઈ ગઈ


મિત્તલના પરિજનોએ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની કરી માગ
વીએસ હોસ્પિટલમાં મૃતદેહોની અદલાબદલી બાદ હવે ધોલેરામાં દફન કરાયેલો નસરીનબાનુનો મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં નસરીનબાનુનો મૃતદેહ લાવવામાં આવ્યો અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહને લઈ જવાયો. સામે કોલ્ડસ્ટોરેજમાં પડેલો મિત્તલનો મૃતદેહ લેવા માટે પણ તેના પરિવારજનોને હોસ્પિટલ પહોંચ્યા છે. જોકે મૃતદેહ સ્વીકારતા પહેલા મિત્તલના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટની માગ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અલગ અલગ હોવાનો મિત્તલના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી ગણાવી છે.



(નસરીનને જ્યાં મિત્તલ સમજીને દફનાવવામાં આવી હતી તે ધોલેરાની કબર)


બદરૂદ્દીન શેખનો દાવો
પૂર્વ મનપા વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખે કહ્યું કે કોલ્ડરૂમાં જેની લાશ હોય તેની ચીઠ્ઠી લખેલી હોય છે. હું કોલ્ડરૂમમાં જોઈને આવ્યો કે મિત્તલના નામની ચીઠ્ઠીવાળો મૃતદેહ ત્યાં છે. અમારી માગણી છે કે મિત્તલના નામે જેની દફનવિધિ થઈ છે તે મૃતદેહ પાછો આપી દેવો જોઈએ. જેથી કરીને તેની યોગ્ય રીતે દફનવિધિ થઈ શકે. 


શું છે સમગ્ર મામલો?
અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલા મહિલાઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ. નસરીનબાનુ નામની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે મહિલાનું પ્રસૂતિ પહેલાં જ ગુરુવારે મોત નિપજ્યું હતું. નસરીનનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. બીજી બાજુ બાવળામાં યુવકે એક તરફી પ્રેમમાં મિત્તલ જાદવ નામની યુવતીની હત્યા કરી હતી. પરિવારે આરોપી પકડાય ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવાની વાત કરી હોવાથી મૃતદેહ વીએસ હોસ્પિટલના મડદા ઘરમાં જ રહ્યો હતો. આરોપી પકડાઈ જતા પરિવારે મિત્તલનો મૃતદેહ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...