Monsoon Prediction : આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરા પાળવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. આપણા પૂર્વજોએ વરસાદનુ અનુમાન કરવા માટે અનેક રીત બનાવી છે. જે મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવુ રહેશે તેવું ભાંખવામા આવે છે. ત્યારે હોળીનો તહેવાર વરસાદના વરતારા માટે યોગ્ય છે. કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશામાં જશે તેના પરથી વરસાદનું અનુમાન લગાવે છે. ત્યારે પંચમહાલના શહેરમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને વરસાદનુ અનુમાન કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલના શહેરા વિસ્તારમાં વર્ષોથી આ રીતે પરંપરા પાળવામાં આવે છે. જેમાં માટીના લાડવા બનાવવામાં આવે છે અને તેને ધૂળેટીના દિવસે કાઢીને તેની ભીનાશ પરથી વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. માટીના ચાર લાડવા બનાવવામાં આવે છે અને તેને આપણી ગુજરાતી મહિનાઓના પ્રમાણે નામ અનુક્રમે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે.


શું છે આ પરંપરા જુઓ
હોળીના દિવસે માટીના ચાર લાડવા બનાવવામા આવે છે. તેના પર સફેદ દોરો વીંટવામાં આવે છે. જ્યાં હોળીનો ખાડો ખોદાય છે, તેમાં ચાર લાડવા મૂકવામાં આવે છે. તેના પર પાણી ભરેલી ગાગર મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેના પર છાણાં મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેને માટીથી ઉપર દાટી દેવામાં આવે છે. ત્યાર બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. તેના બાદ ધૂળેટીના દિવસે માટીના લાડવા બહાર કાઢવામાં આવે છે. 


આ સમયે ગામના તમામ લોકો એકઠા થાય છે. ધૂળેટીના દિવસે લાડવા બહાર કાઢીને માટીમાં કેવુ ભેજ હોય છે તે તપાસવામાં આવે છે. તે મુજબ વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. 


જેની સાથે માન્યતા છે કે, આ પાણી પીવાથી તાવ આવતો નથી. તેમજ ઘરમાં પાણી છાંટવાથી આખુ વર્ષ સુખ શાંતિમય રહે છે. આ વખતે તમામ લાડવા સરખા ભેજ વાળા થયા હોવાથી ચોમાસાના ચારેય મહિના પુરો વરસાદ પડવાનો વર્તારો કાઢવામાં આવ્યો હતો. જોકે આ એક માન્યતા છે, પરંતુ ગ્રામજનો સાથે તેમની શ્રધ્ધા જોડાયેલી છે. આમ, શહેરા પંથકમાં પણ અનોખી રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.