કેતન બગડા/અમરેલી: દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો હજી પણ યથાવત છે. દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહણનું  મોત નીપજતા મૃત્યુઆંક 16 થયો છે. વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને તેમાં વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરી રહી છે. પરંતુ વન વિભાગની દોડધામ વચ્ચે પણ સિંહોના મોત નીપજી રહ્યા છે. સિંહોના મોત પાછળ ક્યું કારણ જવાબદાર છે, તે હજી સુધી જાણી શકાયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસાધાર રેન્જમાં સરાવાર અર્થે ખસેડાયા હતા
જસાધાર રેન્જના આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી 7 સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજતા હાલ એક સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર હેઠળ છે. બે સિંહણના મોતના પગલે વનમંત્રી ગણપત વસાવા જસાધાર એનિમલ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને દુખ વ્યક્ત કરી સિંહોના મોત કેમ અટકે તે અંગે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 


સિંહોના મૃત્યુ મામલે વન વિભાગે બે દિવસ પ્રેસનોટ રિલીઝ કરી અને વન વિભાગે કેવી રીતે સમગ્ર ગીરમાં તમામ સિંહોની તપાસ કરી કંઇ ચિંતાજનક નથી એ માહિતી સામેથી આપી. પણ સિંહોના મોતનો સિલસિલો યથાવત રહેતા હવે વન વિભાગ દ્વારા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગની કામગીરી વિશેની પ્રેસનોટ રિલીઝ કરવાનું બંધ કરી દીધું છે. ધારીના દસખાણીયા વિસ્તારમાં અત્યાર સુધીમાં 14 સિંહોના મોત થયા છે. ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે કોઇ પણ જવાબ આપવામાં આવ્યો નથી.